યુજીસીના વિવાદમાં સંતો પણ જોડાઇ રહ્યા છે. અયોધ્યાના પરમહંસ આચાર્યએ દાવો કર્યો હતો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી પર તંત્ર મંત્ર કરી વશીકરણ કર્યું હતું જેને કારણે યુજીસી આવા વિવાદિત નિયમો લાવી હતી. અમે વૈદિક મંત્રોથી મોદીને વશીકરણથી મૂક્ત કરી દીધા છે.

યુજીસીના નવા નિયમોનો વિરોધ કરનારા પરમહંસ આચાર્યએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે યુજીસી આવા નિયમો લઇને કેમ આવ્યું? આવું કેમ થઇ ગયું તે અંગે અમે વિચાર્યું. આ મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન સામે આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે મોદીના વધી રહેલા પ્રભાવને કારણે તેમના પર તંત્ર મંત્ર કરાવીને વશીકરણ કરવામાં આવ્યું છે. જે બાદ મે ધ્યાન કર્યું તો જાણવા મળ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે તંત્ર મંત્ર કરાવી પીએમ મોદીનું વશીકરણ કરાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે બાદમાં અમે વૈદિક મંત્રોનું પઠન કર્યું હતું અને બધુ ઠીક કરી દીધુ, હવે મોદીજી પર કોઇ પણ પ્રકારના તંત્ર મંત્ર કે વશીકરણની અસર નહીં થાય. હવે અમે આશા રાખીએ કે નરેન્દ્ર મોદી આ યુજીસી જેવા કોઇ કાયદા લઇને નહીં આવે જેને કારણે દેશનો વિકાસ અટકી જાય. મોદી પાસે દેશને ઘણી અપેક્ષાઓ છે. અમે લોકો અયોધ્યાથી મોદીની કુશળતા માટે પૂજા પાઠ કરતા રહીશું. આ પહેલા તેમણે કહ્યું હતું કે યુજીસીના આ નવા નિયમો પરત લેવામાં આવે નહીં તો મને ઇચ્છા મૃત્યુની છૂટ આપવામાં આવે.

