રવિવાર 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે. આમ જોવા જઈએ તો શેર બજારમાં શનિવાર અને રવિવારે રજા હોય છે, પણ આવતીકાલનો રવિવાર રોકાણકારો માટે સામાન્ય રજાથી અલગ છે. નાણાકીય વર્ષ 2026-27 માટે બજેટ ભાષણ થશે. તેમાં ઘણી મોટી જાહેરાતોની સંભવાના છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેજ અને બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જે એલાન કર્યું છે કે આ દરમિયાન શેર બજાર ખૂલ્લું રહેશે. સામાન્ય દિવસની જેમ જ કારોબાર થશે.

‘ખાસ લાઇવ ટ્રેડિંગ સત્ર’નું આયોજન
NSE અને BSE દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન પ્રમાણે બજેટના મહત્ત્વને ધ્યાનમાં રાખીને, 1 ફેબ્રુઆરીએ ‘ખાસ લાઇવ ટ્રેડિંગ સત્ર’નું આયોજન કરવામાં આવશે. આ પાછળનું કારણ જણાવ્યું કે બજેટમાં મુખ્ય નીતિગત જાહેરાતો પર બજારને તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની તક મળવી જોઈએ, તેથી રવિવાર હોવા છતાં બજાર બંધ રહેશે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ફક્ત એક જ વાર રવિવારે શેરબજારનું ટ્રેડિંગ થયું હતું. 28 ફેબ્રુઆરી, 1999ના રોજ જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે સ્થાનિક શેરબજારમાં રવિવારે ટ્રેડિંગ થયું હતું.
NSE અને BSEની સમય અને સ્પષ્ટતા
શેર બજારના રોકાણકારોને સમય અંગે કોઈ મૂંઝવણ ન થાય તે માટે NSE અને BSEએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આવતીકાલ રવિવારેનું બજાર સામાન્ય ટ્રેડિંગ દિવસો જેવું જ રહેશે. આનો મતલબ છે કે તમે બજેટ ભાષણ દરમિયાન પોતાની વ્યૂહનીતિ બનાવી શેર બજારમાં સોદો કરી શકો છો.
-પ્રી-ઓપન માર્કેટ: સવારે 9:00થી 9:08 વાગ્યા સુધી
-ટ્રેડિંગનો સમય: સવારે 9:15થી 3:30 સુધીકેમ લેવામાં આવ્યો આ નિર્ણય?
બજાર નિષ્ણાતોનું માનીએ તો બજેટના દિવસે બજાર ખૂલ્લું રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નાણામંત્રીનું ભાષણ સામાન્ય રીતે સવારે 11 વાગ્યે શરુ થાય છે, જે દરમિયાન રાજકોષીય ખાધ, ટેક્સ સ્લેબ અને ક્ષેત્ર-વિશિષ્ટ આંકડાઓ અંગે જાહેરાતો કરવામાં આવે છે. રોકાણકારો બજેટની જાહેરાતો પરની અસર તાત્કાલિક જોઈ શકશે અને નિર્ણયો લઈ શકશે. જો બજાર બંધ રહે, તો રોકાણકારોએ બજેટની પ્રતિક્રિયા માટે સોમવાર સુધી રાહ જોવી પડશે, જેનાથી અનિશ્ચિતતા વધશે. રવિવારે બજાર ખૂલવાની સાથે, રોકાણકારો તે જ દિવસે તેમની સ્થિતિનું સંચાલન કરી શકશે. રજાના દિવસે બજેટ રજૂ કરવામાં આવે ત્યારે ઑફ-માર્કેટ સટ્ટાબાજીનો ભય રહે છે, લાઇવ ટ્રેડિંગથી તેને નિયંત્રિત કરી શકાશે.

