પાટનગરનાં સેક્ટરોમાં દબાણો હટાવવાની સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી રાહ જોતા હતાં. પરંતુ પેથાપુર અને ચરેડી વિસ્તારની અવદશા થયા બાદ સરકાર હરકતમાં આવી હતી. હવે એક પછી એક સેક્ટરમાં ઝુંપડા, છાપરા તોડવાનું શરૃ કરવામાં આવ્યું છે. તેમાં સેક્ટર ૩૦માં શનિવારે કાચા-પાકા દબાણો પર બુડોઝર ફેરવી દેવાયા હતાં. આ સાથે અનિચ્છનીય બનાવો રોકવા માટે સુરક્ષા બંદોબસ્ત રખાયો હતો.

સેક્ટર ૨૪ના શહેરના સૌથી ગીચ વિસ્તારમાં તંત્ર દ્વારા રવિવારે રજાના દિવસે પણ ડિમોલીશન ઝારી રાખવામાં આવ્યુ હતું અને રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણો તોડી પાડવાની સાથે મોટી સંખ્યામાં ઉભી કરાયેલી દેવી-દેવતાઓની દેરીઓની આસપાસ ચણી લેવાયેલા ઓટલા અને તાર ફેન્સિંગના દબાણોને પણ નિશાન બનાવાયા હતાં. તેની પહેલા વાસણા હડમતિયા વિસ્તારમાં તો મોટા ક્ષેત્રફળની જમીનો પરના ગોડાઉનો અને લેબર કોલોની હટાવવાની હિંમત દાખવવામાં આવી હતી. સોમવારે દબાણ હટાવ અભિયાન પાંચમાં દિવસમાં પ્રવેશ્યુ હતું. જેમાં સેક્ટર ૩૦ના વિસ્તારમાં રહેણાંક સહિત હેતુના કાચા-પાકા ૩૫ ઉપરાંત દબાણો તોડવામાં આવ્યા હતાં. અધિકારી સુત્રોએ કહ્યું, કે ડિમોલીશનની કામગીરી હજુ પણ ચાલુ રાખવામાં આવનાર છે.

