આણંદ તાલુકાના ભાલેજ પાસેના કાસોર ગામે બે દિવસ પૂર્વે રાત્રિના સુમારે ત્રાટકેલ તસ્કરોએ બે બંધ મકાનને નિશાન બનાવી બંને મકાનોના તાળા તોડી અંદરથી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ્લે રૂપિયા ૩. ૪૪ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ભાલેજ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાસોર ગામના ગામી ફળિયામાં રહેતા શ્રીકાંત કુમાર ઉર્ફે સીકો હર્ષદભાઈ પટેલ ગત તારીખ ૨૯મી રાત્રિના સુમારે બાજુમાં રહેતા મીનાબેન પટેલ અને અન્ય મિત્રો સાથે ગાડી ભાડે કરી અંબાજી દર્શનાર્થે ગયા હતા. મીનાબેને ઘરને તાળું મારી ચાવી શ્રીકાંત કુમારના ઘરે મૂકી હતી, જ્યારે શ્રીકાંત કુમારે પોતાના ઘરને તાળું મારી નજીકમાં જનરલ સ્ટોર ચલાવતા મનોજ ઉર્ફે શંભુ પટેલને આપી હતી. દરમિયાન ગત તારીખ ૩૦મી ના રોજ રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ આ બંને બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા તસ્કરોએ શ્રીકાંત કુમાર અને મીનાબેનના મકાનના દરવાજાના તાળાં તોડી અંદર પ્રવેશ કરી તિજોરીનો સર સામાન વેર વિખેર કરી નાખ્યો હતો અને શ્રીકાંતભાઈના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા ૧૫,૦૦૦ અને ૧૦ પાઉન્ડ મળી કુલ રૂપિયા ૩.૨૧ લાખની મત્તાની ચોરી કરી હતી.જ્યારે મીનાબેનના ઘરમાંથી ચાવીના સિક્કા તથા રોકડા રૂ.૫,૦૦૦ મળી બંને મકાનોમાં થઈ કુલ રૂપિયા ૩.૪૪ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બંને મકાનોમાં ચોરી થઈ હોવાની જાણ મનોજભાઈને થતા તેઓએ શ્રી કાન્ત કુમારને ફોનથી જાણ કરી હતી. જેથી તેઓ તુરંત જ પરત આવ્યા હતા અને તપાસ કરતા બંને મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત ની મદદથી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કાસોર ગામમાં અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હોવા છતાં યોગ્ય જાળવણીના અભાવે કેટલાક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોવાની ચર્ચાઓ ગ્રામજનોમાં ઉઠી છે.

