લગ્ન સહિત અન્ય શુભ પ્રસંગોમાં હવે કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવાનો નવો ચીલો શરૂ થયો છે. પ્રસંગ પતી ગયા પછી વધેલી સાધન સામગ્રી સહિત ખાણીપીણી સ્થાનિક ગરીબ સંસ્થાઓને કે પછી શ્રમજીવીઓને વેચવાના બદલે કેટરર્સના લોકો આવો બચેલો એઠવાડ ખોરાક જાંબુઆ ગામના રોડ રસ્તા પર નાખી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયાનો વિડીયો વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, કોઈ શુભ પ્રસંગ કે પછી લગ્ન પ્રસંગે હવે રસોઈ બનાવવાની ઝંઝટના બદલે આયોજકો દ્વારા કેટરર્સને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. પ્રસંગ પતી ગયા પછી કોઈપણ જાતની સાફ-સફાઈની ચિંતા કર્યા વગર તમામ કામ કેટરર્સના માણસો જ કરતા હોવાથી આયોજકોને આવી ઝંઝટમાંથી મુક્તિ મળે છે. જ્યારે બીજી બાજુ વધેલો બચેલો રાંધેલો ખોરાક કેટરર્સના માણસો જ ટેમ્પોમાં લઈ જતા હોય છે. આવી જ રીતે કોઈ પ્રસંગના આયોજકો દ્વારા ભોજન અંગે કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારબાદ સમારંભ પૂરો થયા બાદ વધેલો બચેલો એઠવાડ ખોરાક કેટરર્સના માણસો ટેમ્પોમાં લઈ ગયા હતા. ત્યારબાદ શહેરના છેવાડે જાંબુઆ ગામના મુખ્ય માર્ગ પર એક બાજુ પડેલા કચરામાં આ તમામ રાંધેલો ખોરાક કેટરર્સના માણસોએ નાખવા માંડ્યો હતો. પરિણામે ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ તેમને રોક્યા હતા અને તમામનો ઉધડો લીધો હતો. આવો ખોરાક કોઈ સામાજિક સંસ્થા કે પછી ગરીબ કે શ્રમજીવીઓને આપવાની ગામ લોકોએ સલાહ આપી હતી. ત્યારબાદ કેટરર્સના લોકોએ કચરામાં નાખેલો ખોરાક પુન: ટેમ્પોમાં ભરીને રવાના થઈ ગયા હતા.

