લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અને અદાણીને સમન્સ તેમજ એપસ્ટીન ફાઇલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. સંસદમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભારત માતાને વેચી નાખ્યા છે. આ ટ્રેડ ડીલ હોલ્સેલ સરેન્ડર છે, ભારતની એનર્જી સિક્યોરિટીને અમેરિકાને સોંપી દેવામાં આવી છે સાથે જ ભારતના ખેડૂતોના હિતો સાથે બાંધછોડ કરવામાં આવી છે. દબાણ વગર કોઇ પણ વડાપ્રધાન આવી ડીલ માટે સંમત ના થાય. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા કહ્યું હતું કે મોદીની આંખોમાં ડર દેખાઇ રહ્યો છે, આ ડરના બે મુખ્ય કારણો છેે. જેમાં એક છે એપસ્ટીન, એપસ્ટીનનું નામ બોલતા જ સ્પીકરે રાહુલ ગાંધીને અટકાવ્યા હતા. બાદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના સંરક્ષણ બજેટમાં અદાણીને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. અદાણી કોઇ સામાન્ય બિઝનેસમેન નથી, ના તો તેમની કંપની સાધારણ છે. તેમની કંપની પર અમેરિકામાં કેસ છે, આ કંપની ભાજપનું નાણાકીય સ્ટ્રક્ચર છે. અમેરિકામાં ચાલી રહેલા કેસમાં અદાણી સામે સમન્સ જારી થયા છે, છેલ્લા ૧૮ મહિનાથી ભારત સરકારે તેનો કોઇ જ જવાબ નથી આપ્યો. નરેન્દ્ર મોદી પર અમેરિકા સાથે ડીલ કરવા માટે સીધુ દબાણ છે.

બાદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અનિલ અંબાણી જેલમાં કેમ નથી તેનું કારણ છે એપસ્ટીન ફાઇલ, હરદીપ પુરી મંત્રી છે અને આ જ ગૃહના સભ્ય છે. રાહુલ ગાંધીએ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર વાત કરતા કહ્યું હતું કે આ ડીલમાં કેન્દ્ર સરકારે સરેન્ડર કરી દીધુ છે, અમેરિકાના હાથમાં ભારતના નિર્ણયો સોંપી દેવાયા છે. આપણા કૃષિ ક્ષેત્રને અમેરિકા માટે ખોલી નાખવામાં આવ્યુ છે. સરકારે ખેડૂતોના હિતમાં કઇ જ ના વિચાર્યું. ભારતને વેચીને પણ સત્તાધીશોને શરમ નથી આવી રહી. અમેરિકાનો ભારતની વસ્તુઓ પરનો ટેરિફ ત્રણ ટકાથી વધીને ૧૮ ટકાએ પહોંચાડી દેવામાં આવ્યો. ભારતે ડેટા હેન્ડઓવર કરી દીધા.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે અમેરિકા સાથે મોદીએ જે ટ્રેડ ડીલ કરી છે તેમાં ભારત તરફથી જે બાંધછોડ કરવામાં આવી છે આવું દબાણ વગર કોઇ પણ વડાપ્રધાન ના કરી શકે. દેશના યુવાઓની નોકરી, ભારતના ખેડૂતોના પાક આ તમામને આ ડીલમાં દાવ પર મુકી દેવાયા છે. ભારે દબાણ હોય ત્યારે જ કોઇ વડાપ્રધાન આ રીતે સરેન્ડર કરે. અદાણી કેસ હોય કે એપસ્ટીન ફાઇલ મોદીજીએ સત્તાને બચાવવા માટે દેશના હિત સાથે બાંધછોડ કરી છે. જ્યારે સંસદમાં રાહુલે કહ્યું હતું કે આ ટ્રેડ ડીલમાં ખેડૂતોના હિતોને દાવ પર લગાવાયા, ટેક્સટાઇલ્સને હટાવી દેવાઇ, એનર્જી સિક્યોરિટી અમેરિકાને સોંપી દેવાઇ, આ હોલ્સેલ સરેન્ડર છે. આ ખરેખર એક મોટી ટ્રેજડી છે, કેમ કે આ ટ્રેડ ડીલમાં માત્ર નરેન્દ્ર મોદીએ પોતે સરેન્ડર નથી કર્યું સાથે દેશના ૧૪૦ કરોડ નાગરિકોના ભવિષ્યનું પણ મોદીએ સરેન્ડર કરી દીધુ છે. મોદીએ સરેન્ડર કર્યું કેમ કે તેઓ ભાજપના નાણાકીય સ્ટ્રક્ચરને બચાવવા માગતા હતા, જેની સામે અમેરિકામાં કેસ ચાલી રહ્યો છે.

