ચોગડા મુકામે પાંચ પટ્ટી ચૌધરી સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. સમાજમાં વ્યાપી રહેલા કુરિવાજો અને આડંબર સામે એકમતથી અવાજ ઉઠાવી સમાજબંધુઓએ પ્રગતિશીલ માર્ગ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. સંમેલનમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત સમાજજનોએ ઐતિહાસિક ઠરાવો પસાર કર્યા હતા.

મહાસંમેલનમાં હવેથી લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ભપકા, ખોટા દેખાડા અને આડંબર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો હતો. ભોજન સમારંભોમાં મર્યાદિત વાનગીઓ સાથે સાદગી જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આગેવાનોના જણાવ્યા મુજબ આ નિર્ણયથી સમાજમાં આર્થિક બોજ ઓછો થશે અને સમાનતાની ભાવના મજબૂત બનશે.
યુવાધનને વ્યસનમુક્ત બનાવવા નશીલા દ્રવ્યોના સેવન સામે કડક વલણ અપનાવવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની જોગવાઈ વિચારાધીન હોવાનું જણાવાયું હતું.
આ પ્રસંગે શિકારપુર ગાદી પતિ દયારામજી મહારાજ અને પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમાજના ભવિષ્ય અને આવનારી પેઢીના હિત માટે લેવાયેલા આ નિર્ણયો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
કાર્યક્રમના અંતે વડીલો અને યુવાઓએ સાથે મળી નવા સામાજિક બંધારણનું પાલન કરવાની શપથવિધિ લીધી હતી. સમાજની એકતા અને પ્રગતિ માટે લેવાયેલા આ પગલાને ઉપસ્થિત લોકોએ વધાવ્યો હતો.
REPOTER : દશરથભાઇ ઠાકોર વાવ થરાદ…

