આપણા સમાજમાં એક અલિખિત નિયમ છે “પુરુષોએ મજબૂત દેખાવું જ જોઈએ.” નાનપણમાં જ્યારે કોઈ છોકરો પડી જાય અને રડવા લાગે, ત્યારે તેને તરત જ કહેવામાં આવે છે, “અરે, તું તો છોકરો છે,
છોકરીઓની જેમ શું રડે છે?” આ એક વાક્યથી જ તેના મન પર એક ‘અદ્રશ્ય કવચ’ ચડાવવાની શરૂઆત થઈ જાય છે.માનવ શરીરની રચના એવી રીતે થઈ છે કે જ્યારે પણ વ્યક્તિ ભાવનાત્મક કે શારીરિક આઘાત અનુભવે, ત્યારે મગજમાં રહેલું ‘એમિગડાલા’ (Amygdala) સક્રિય થાય છે. આ ભાગ ભય, દુઃખ અને ચિંતા જેવી લાગણીઓ માટે જવાબદાર છે. પુરુષોના મગજમાં પણ એ જ ‘પેઈન રિસેપ્ટર્સ’ હોય છે જે સ્ત્રીઓમાં હોય છે. એક પિતા આખો દિવસ ઓફિસમાં અપમાન સહન કરે છે અથવા આર્થિક તંગીથી ઝઝૂમે છે, પણ ઘરે આવીને બાળકો સામે હસે છે. તે પોતાની પીડા એટલા માટે નથી કહેતા કારણ કે તેમને લાગે છે કે જો તેઓ તૂટી જશે, તો આખું ઘર વિખેરાઈ જશે. કરિયરની નિષ્ફળતા કે બ્રેકઅપ વખતે યુવાનો મિત્રો સાથે પાર્ટી કરે છે અથવા ગુસ્સો કરે છે, પણ એકાંતમાં ઓશીકું ભીનું કરતા ડરે છે. તેમને લાગે છે કે રડવાથી તેમની ‘ઈમેજ’ ખરાબ થશે.
જ્યારે લાગણીઓ બહાર નથી આવતી, ત્યારે તે શરીરના અન્ય માર્ગો શોધે છે શારીરિક બીમારી સંશોધનો મુજબ, જે પુરુષો પોતાની લાગણીઓ દબાવે છે, તેમનામાં હાઈ બ્લડ પ્રેશર અને અનિદ્રા (Insomnia) નું પ્રમાણ વધુ જોવા મળે છે. જે દર્દ આંસુ બનીને નથી વહેતું, તે ઘણીવાર ચિડિયાપણા અથવા અકારણ ગુસ્સા તરીકે બહાર આવે છે.
મન હળવું કરવાની રીતો
જો તમે એક પુરુષ છો અને તમારી અંદર ભાવનાઓનો વંટોળ છે, તો આ બાબતો અજમાવી જુઓ. સૌથી પહેલા સ્વીકારો કે તમને દુઃખ થઈ રહ્યું છે. દુઃખી થવું એ માનવીય સહજ પ્રવૃત્તિ છે, નબળાઈ નહીં. ‘સેફ સ્પેસ’ શોધો એવા એકાદ મિત્ર અથવા પરિવારના સભ્યને શોધો જે તમને જજ કર્યા વગર સાંભળે. જો કોઈ ન મળે, તો ડાયરી લખવાની આદત પાડો. રડવામાં કોઈ વાંધો નથી જ્યારે મન ખૂબ ભરાઈ આવે, ત્યારે એકાંતમાં રડી લેવું. આંસુ વહેવાથી મગજમાં
‘ઓક્સિટોસિન’ અને ‘એન્ડોર્ફિન’ જેવા ફીલ-ગુડ હોર્મોન્સ મુક્ત થાય છે. મદદ માંગવામાં ગર્વ અનુભવો જો તણાવ વધુ હોય, તો પ્રોફેશનલ કાઉન્સેલર કે થેરાપિસ્ટની મદદ લો. મનનું ઓપરેશન પણ શરીરના ઓપરેશન જેટલું જ જરૂરી છે.
પુરુષ હોવાનો અર્થ ‘પથ્થર’ હોવો એવો ક્યાંય નથી લખ્યો. સાચો મર્દ એ છે જે પોતાની અને બીજાની લાગણીઓને સમજી શકે છે. જો તમારી આસપાસ કોઈ પુરુષ બહુ શાંત થઈ ગયો હોય, તો તેને પ્રેમથી પૂછજો “શું થયું છે?” કદાચ તમારા આ એક પ્રશ્નથી તેનું વર્ષોનું દબાયેલું દર્દ હળવું થઈ જાય.આંસુ એ નબળાઈ નથી, પણ મન શુદ્ધ કરવાની પ્રક્રિયા છે.

દર્શના પટેલ ( નેશનલ મેડાલિસ્ટ)

