TOP NEWS : પાલડીમાં દોડતી બસ બની ‘આગનો ગોળો’, ડ્રાઈવર-કંડક્ટરની સમયસૂચકતાથી અનેક જીવ બચ્યા

0
40
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) શહેરમાં આજે વહેલી સવારે મુસાફરોથી ભરેલી એક બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી બાદશાહ ડેરી અને જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ નજીક સવારે 8:00 વાગ્યે રૂટ નંબર 35ની બસ (TCM 53) માં અચાનક આગ લાગી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે.

કેવી રીતે બની ઘટના?

પ્રાપ્ત વિગતો મુજબ, ‘ટાંક ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા સંચાલિત આ બસ લાલદરવાજાથી બાવળા તરફ જઈ રહી હતી. જ્યારે બસ જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓને લેવા માટે ઉભી રહી, ત્યારે અચાનક એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ધુમાડો જોતા જ કંડક્ટરે ચપળતાપૂર્વક તમામ પ્રવાસીઓને તાત્કાલિક બસની બહાર ઉતારી દીધા હતા. બીજી તરફ, ડ્રાઈવર તુરંત જ ઇગ્નિશન અને મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી, તેમ છતાં શોર્ટ સર્કિટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ફાયરબ્રિગેડે આગ કાબુમાં લીધી

આગ લાગતા જ ડ્રાઈવરે બસમાં રહેલા ફાયર એક્ષ્ટીંન્ગ્યુશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. આસપાસથી પસાર થતી અન્ય બસોના ચાલકોએ પણ પોતાના ફાયર સેફ્ટીના સાધનો વડે મદદ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

નુકસાનની વિગત

આ ભીષણ આગમાં બસનો આગળનો ભાગ, એન્જિન, રૂફ સીલિંગ અને આગળની ચાર સીટો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સવારના સમયે બનેલી આ ઘટનાને પગલે રોડ પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here