મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તા તેની 14 વર્ષની દીકરી સાયરા સાથે સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે. લારાએ દુબઈમાં ગાળેલા ભયાનક સમયનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, આ તેના જીવનની સૌથી જોખમી સફર હતી. જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ તેજ થયો, ત્યારે લારા અને તેની દીકરી દુબઈમાં એકલા હતા, કારણ કે તેના પતિ મહેશ ભૂપતિ કામના લીધે લંડન હતો. લારા જેબેલ અલી પોર્ટથી માત્ર 10 કિલોમીટર દૂર રહેતી હતી, જ્યાં દરરોજ બોમ્બમારો થઈ રહ્યો હતો.

ખતરનાક સંજોગો વચ્ચે એક્ટ્રેસની સુરક્ષિત સ્વદેશ વાપસી
લારાએ જણાવ્યું કે તે જે વિલામાં રહેતી હતી ત્યાં સતત ધડાકાઓનો અવાજ સંભળાતો હતો, જેના કારણે તે પોતાની દીકરીની સુરક્ષાને લઈને અત્યંત ચિંતામાં હતી. જ્યારે દુબઈ ઍરપૉર્ટ પર બોમ્બમારો થવા લાગ્યો, ત્યારે તેણે જોખમ ખેડીને ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. લારા બે કલાક સુધી ડ્રાઈવ કરીને ફુજૈરાહ પહોંચી હતી. ચોંકાવનારી વાત એ છે કે, જે દિવસે તે ફુજૈરાહ પહોંચી તેના એક દિવસ પહેલા જ ત્યાંના પોર્ટ અને ઓઇલ રિફાઈનરી પર હુમલો થયો હતો. આ ડરામણી સ્થિતિ વિશે તેણે મજાકમાં અક્ષય કુમારને કહ્યું હતું કે તેને વાસ્તવિક જીવનમાં ‘એરલિફ્ટ 2’ જેવો અનુભવ થઈ રહ્યો છે.

