ગુજરાત એટલે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પુણ્યશાળી ધરતી. એક એવો પ્રદેશ જેણે વિશ્વને અહિંસા, નૈતિકતા અને સુશાસનનો પાઠ ભણાવ્યો છે. દાયકાઓથી આપણે ‘સુશાસન’ (Good Governance) ના ગુણગાન ગાતા આવ્યા છીએ. પરંતુ આજે જ્યારે અખબારોના પાના ઉથલાવીએ છીએ અથવા સમાજની વાસ્તવિકતાને નજર સમક્ષ રાખીએ છીએ, ત્યારે હૃદયમાં એક વેધક પ્રશ્ન જન્મે છે – “શું આ ખરેખર ગુડ ગવર્નન્સ છે?”
સુશાસન એટલે માત્ર ચળકતા રસ્તાઓ કે ઊંચી ઇમારતો નહીં, પણ સુશાસન એટલે કાયદાનો ડર, સામાન્ય નાગરિકની સુરક્ષા, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને ન્યાયતંત્રની ગરિમાનું જાળવવું. કમનસીબે, આજના ગુજરાતમાં આ વ્યાખ્યાઓ ધૂંધળી થતી જાય છે.
૧. ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની હેલી
સૌથી મોટી વરવી વાસ્તવિકતા ‘દારૂબંધી’ છે. ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પણ હકીકત એ છે કે આજે દારૂ ગમે ત્યાં, ગમે ત્યારે ઉપલબ્ધ છે. જ્યારે કાયદો માત્ર કાગળ પર રહી જાય અને અમલવારીમાં છીંડાં હોય, ત્યારે તેને સુશાસન કહી શકાય? હદ તો ત્યારે થાય છે જ્યારે દારૂની સાથે સાથે હવે ‘ડ્રગ્સ’ ના ઝેરનું નેટવર્ક ગુજરાતના ખૂણેખૂણે પહોંચી ગયું છે.
યુવા પેઢી જે દેશનું ભવિષ્ય છે, તે આ નશાના રવાડે ચડી રહી છે. દર થોડા દિવસે બંદરો પરથી હજારો કરોડનું ડ્રગ્સ પકડાય છે, છતાં તે બજાર સુધી કેવી રીતે પહોંચે છે? ગલીએ-ગલીએ વેચાતા નશાના કારોબાર પાછળ કોના આશીર્વાદ છે? જ્યારે પોલીસ તંત્ર નશાખોરો અને નશાના સોદાગરો સામે લાચાર દેખાય, ત્યારે સમજવું કે ગવર્નન્સમાં ક્યાંક મોટી ખામી છે.
૨. ભૂ-માફિયાઓ અને ગુંડાઓનો બેફામ આતંક
જમીન એ મનુષ્યની સૌથી કિંમતી મૂડી છે, પણ આજે ગુજરાતમાં ભૂ-માફિયાઓ જાણે કાયદાથી ઉપર વટ હોવાનું અનુભવી રહ્યા છે. ગરીબ ખેડૂતોની જમીનો પચાવી પાડવી, ખોટા દસ્તાવેજો બનાવવા અને ધાક-ધમકીથી મિલકતો હડપવી એ સામાન્ય બની ગયું છે. ગુંડા તત્વોમાં પોલીસનો ભય રહ્યો નથી.
ગુંડાઓ હવે છડેચોક હુમલા કરે છે, ખંડણી માંગે છે અને સોશિયલ મીડિયા પર પોતાની ‘દાદાગીરી’ ના પ્રદર્શન કરે છે. જ્યારે સામાન્ય માણસ પોતાની જમીન કે ઘર બચાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાતો હોય અને માફિયાઓ એસી ઓફિસોમાં બેસીને કાવતરાં ઘડતા હોય, ત્યારે ન્યાય ક્યાં છે?
૩. અફવાઓનું સામ્રાજ્ય અને તંત્રની લાચારી
હાલમાં એક નવી ફેશન જોવા મળી છે – બોમ્બની અફવા ફેલાવવી. કોઈ પણ સામાન્ય ટપોરી વ્યક્તિ ઈમેઈલ કે ફોન દ્વારા બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવે છે અને સમગ્ર પોલીસ તંત્ર, બોમ્બ સ્ક્વોડ અને વહીવટી તંત્ર કલાકો સુધી દોડતું થઈ જાય છે. શાળાઓ, એરપોર્ટ અને હોસ્પિટલોમાં ભયનું વાતાવરણ ઉભું થાય છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, આધુનિક ટેકનોલોજી હોવા છતાં આપણે આવા અફવાખોરોને પકડવામાં નિષ્ફળ જઈએ છીએ અથવા પકડાયા પછી તેમને એવો કડક પાઠ નથી ભણાવી શકતા કે બીજી વાર કોઈ આવું કરવાનું વિચારે પણ નહીં. આ તંત્રની નબળાઈ છે કે ગુનેગારોની હોશિયારી? આ સવાલ જનતા પૂછી રહી છે.
૪. બાબુશાહી અને મંત્રીઓની નબળાઈ
લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે મંત્રીઓ સર્વોપરી હોવા જોઈએ, કારણ કે તેઓ જનતાને જવાબદાર છે. પરંતુ વર્તમાન સમયમાં ‘બાબુશાહી’ (Bureaucracy) હાવી થઈ ગઈ હોય તેવું લાગે છે. સરકારી અધિકારીઓ મંત્રીઓના આદેશોને પણ ઘોળીને પી જાય છે. જ્યારે મંત્રીઓ અધિકારીઓને ગાંઠતા ન હોય, ત્યારે વહીવટ કથળે છે.
સામાન્ય નાગરિક જ્યારે કામ માટે જાય છે ત્યારે તેને નિયમોની માયાજાળમાં ફસાવી દેવામાં આવે છે, જ્યારે વગદાર લોકો માટે નિયમો બદલાઈ જાય છે. આ ‘બાબુશાહી’ સુશાસનના પાયા ખોખલા કરી રહી છે.
૫. શિક્ષણના નામે લૂંટ
શિક્ષણ એ વ્યવસાય નહીં પણ સંસ્કારનું ધામ હોવું જોઈએ. પરંતુ આજે ગુજરાતમાં શિક્ષણના ધામો ‘લૂંટના અડ્ડા’ બની ગયા છે. ખાનગી શાળાઓ અને કોલેજો ફી ના નામે વાલીઓનું લોહી ચૂસી રહી છે. સરકારના ‘ફી રેગ્યુલેશન એક્ટ’ છતાં કોઈને કોઈ બહાને વાલીઓ પાસેથી મબલખ નાણાં ખંખેરવામાં આવે છે.
શિક્ષણનું વ્યાપારીકરણ એટલી હદે વધી ગયું છે કે સામાન્ય માણસ પોતાના બાળકને સારી શાળામાં ભણાવતા પહેલા સો વાર વિચાર કરે છે. પુસ્તકો, ગણવેશ અને અન્ય પ્રવૃત્તિઓના નામે ચાલતી આ ઉઘાડી લૂંટ સામે તંત્ર મૌન કેમ છે? શું શિક્ષણ માફિયાઓ સરકાર કરતા વધુ શક્તિશાળી છે?
૬. રીલ્સની દુનિયા અને પોલીસને પડકાર
સોશિયલ મીડિયાના યુગમાં ‘રીલ્સ’ બનાવવાનું ભૂત સૌના માથે સવાર છે. પરંતુ ચિંતાની વાત એ છે કે આવારા તત્વો હથિયારો સાથે, પોલીસની ગાડીઓ પાસે અથવા પોલીસ સ્ટેશનની બહાર રીલ્સ બનાવીને કાયદાની મજાક ઉડાવે છે. તેઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંકે છે.
જ્યારે કાયદાના રક્ષકોની મજાક ઉડાવવામાં આવે અને ગુનેગારો ‘હીરો’ તરીકે પ્રોજેક્ટ થાય, ત્યારે સમાજમાં ખોટો સંદેશ જાય છે. પોલીસનો ખોફ હોવો જોઈએ, પણ અહીં તો ગુનેગારો પોલીસના ખોફનો આનંદ માણી રહ્યા છે.
૭. ધોળાવીરા અને પુરાતત્વ વિભાગની બેશરમી
સૌથી વધુ આઘાતજનક કિસ્સો ધોળાવીરાનો છે. વિશ્વ વિરાસત (World Heritage) એવી આ જમીનો માટે ખેડૂતોએ પોતાની જમીનો આપી, પણ બદલામાં તેમને શું મળ્યું? વળતર માટે ખેડૂતોએ કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા. કોર્ટે આદેશ આપ્યો છતાં સરકારી તંત્ર અને પુરાતત્વ વિભાગ વળતર ચૂકવતું નથી.
આ બાબતે કોર્ટે છેવટે આકરો આદેશ આપવો પડ્યો કે જો વળતર ન ચૂકવાય તો પુરાતત્વ વિભાગની ઓફિસ અને તેની મિલકતો જપ્ત કરવામાં આવે. એક સરકારી વિભાગ સામે કોર્ટે આવો હુકમ કરવો પડે, તે ગવર્નન્સ માટે શરમજનક બાબત છે. કાયદાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે, એ જ વિભાગ જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે સામાન્ય માણસ કોની પાસે આશા રાખે?
૮. કાયદાના ભયનો અંત: આત્મચિંતનનો સમય
કોઈપણ રાજ્યની પ્રગતિ ત્યારે જ થાય જ્યારે ગુનેગારના મનમાં કાયદાનો ફફડાટ હોય. આજે કાયદાનો ભય રહ્યો નથી. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. નાનામાં નાનું કામ કરાવવા માટે પણ ‘વહીવટ’ કરવો પડે છે.
જો આ જ પરિસ્થિતિ રહી, તો ભવિષ્યમાં આપણે માત્ર આંકડાઓમાં જ ‘નંબર વન’ રહીશું, વાસ્તવિકતામાં નહીં. ‘ગુડ ગવર્નન્સ’ એટલે માત્ર જાહેરાતો નહીં, પણ જમીની હકીકત હોવી જોઈએ. સરકારે જાગવાની જરૂર છે, અધિકારીઓએ જવાબદારી સ્વીકારવાની જરૂર છે અને જનતાએ સવાલ પૂછવાની જરૂર છે.
શું આપણે ખરેખર એવું ગુજરાત ઈચ્છીએ છીએ જ્યાં ગુંડાઓ બેફામ હોય અને ન્યાય માંગનાર લાચાર? વિચારજો… કારણ કે આ પ્રશ્ન આપણા સૌના ભવિષ્યનો છે.

લેખક અશ્વિન ગોહિલ

