SURENDRANAGAR : મિનિ વાવાઝોડા અને માવઠાથી સાયલામાં તરબૂચની ખેતીમાં ભારે નુકસાન, મહેનત પર ફરી વળ્યું પાણી

0
12
meetarticle

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ઉનાળુ પાક તરીકે તરબૂચનું વાવેતર કરનારા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે.

15 વીઘામાં તરબૂચનું વાવેતર નિષ્ફળ

મળતી માહિતી અનુસાર, સાયલાના રહેવાસી ખેડૂત જીતેશભાઈ સોલંકીએ 15 વીઘા જમીનમાં મોટી આશા સાથે તરબૂચનું વાવેતર કર્યું હતું. ઉનાળાની સીઝનમાં સારા વળતરની અપેક્ષાએ તેમણે આ ખેતી પાછળ આશરે 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, પાક તૈયાર થવાના આરે હતો ત્યારે જ મિનિ વાવાઝોડા જેવા પવને ખેતરમાં તારાજી સર્જી છે.

8થી 10 લાખના નુકસાનનો અંદાજ

ખેડૂતના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા પવન અને વાતાવરણના ફેરફારને કારણે તૈયાર થયેલો તરબૂચનો પાક બગડી ગયો છે. વાવેતર અને માવજત પાછળ 4થી 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અંદાજે 8થી 10 લાખ રૂપિયાની આવક થવાની ધારણા હતી, જે હવે શૂન્ય સમાન થઈ ગઈ છે.

ભર ઉનાળે વાતાવરણ પલટાતા ખેડૂતોની ચિંતામાં તોતિંગ વધારો થયો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે રાત-દિવસ એક કરીને પકવેલો પાક જ્યારે બજારમાં જવાની તૈયારીમાં હતો, ત્યારે જ કુદરતી આફતે આર્થિક કમર તોડી નાખી છે. સાયલા પંથકના અન્ય ખેડૂતો પણ આ બદલાયેલા હવામાનને કારણે પોતાના પાકને લઈને ચિંતિત બન્યા છે. પીડિત ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here