અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર, બાવળા અને બગોદરા પંથકમાં કેમિકલ યુક્ત વેસ્ટ ફેંકવાની પ્રવૃત્તિઓ જાણે બેરોકટોક બની છે. તાજેતરમાં બગોદરાના ભોગાવા વિસ્તારમાં કેમિકલ યુક્ત ઝેરી કચરો ફેંકવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કચરો ફેંકી રહેલા ટ્રક સહિત ચાલકને ઝડપી પાડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ કેમિકલ યુક્ત જથ્થો કેરાળા જીઆઈડીસીમાં આવેલી ‘વર્ધમાન’ કંપનીનો હોવાનું સામે આવ્યું છે.
આ ગંભીર બેદરકારી બદલ પોલીસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) ને લેખિત જાણ કરી તપાસ સોંપી છે. અવારનવાર થતી ફરિયાદો છતાં ઉદ્યોગપતિઓ દ્વારા નદી-નાળા અને જાહેર જગ્યાઓ પર મેડિકલ કે કેમિકલ વેસ્ટ ઠાલવી પ્રકૃતિ સાથે ચેડાં કરવામાં આવે છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ જવાબદાર કંપની સામે કેવા કડક પગલાં ભરે છે, જેથી ભવિષ્યમાં આવા પર્યાવરણીય ગુનાઓ અટકી શકે.

