જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી દ્વારા સ્વાભિમાન સંમેલન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ 26 મુદ્દે ધારાસભ્યને આગેવાનોએ અને સામાન્ય લોકોએ રજુઆત કરી હતી. કોંગી ધારાસભ્યએ જૂનાગઢ મનપા, કલેક્ટર તંત્ર અને જિલ્લા પંચાયત ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા હોય તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો. લોકો આંદોલનો કરી થાકી ગયા છતાં તેને ન્યાય આપવામાં આવતો નથી જેથી જૂનાગઢના લોકોને સાથે રાખી મુખ્યમંત્રીને રજુઆત કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

શહેરની દોમડીયા વાડી ખાતે ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીના કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. મેવાણીએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જીલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે. મનપાએ થોડા સમય પહેલા થાર ગાડી ખરીદી છે તે કોઈને બતાવવામાં આવતી નથી, કરોડો રૂપીયાનો ખનીજનો દંડ સરકારી તંત્ર વસુલી શકતું નથી, સેંકડો વિઘા ગૌચર સહિતની જમીનમાં માથાભારે લોકોનું દબાણ છે તેને તથા ભાજપના આગેવાનોના દબાણને ખુલ્લું કરાતું નથી જ્યારે સામાન્ય વ્યક્તિ દબાણ કરે તો તેના પર લેન્ડગ્રેબિંગ જેવી કાર્યવાહી કરવામાં આવે છે. અનેક લોકો વિવિધ મુદ્દે આંદોલન કરે, રજુઆત કરે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. અધિકારીઓને સરકાર અને ભાજપના નેતાઓ સાથે સેટીંગ તથા મિલીભગત છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય અને અન્ય લોકો તેની સાથે કલેક્ટર કચેરીએ દોડી જઈ કલેક્ટરને વિવિધ મુદ્દે રજુઆત કરી છે.

