વિજ્ઞાનીઓએ વિશ્વના સૌથી પૌરાણિક ૯.૯૦ કરોડ વર્ષ જૂના મચ્છરના લાર્વાની શોધ કરી છે. આ લાર્વા મ્યાન્મારના કછિન ક્ષેત્રમાં એમ્બરમાં સુરક્ષિત મળી આવ્યો છે અને તેને નવી પ્રજાતિ ક્રસ્ટોસાબેથેસ પ્રાઈમાવસ નામ આપવામાં આવ્યું છે. જર્મનીની એલએમયુ યુનિવર્સિટીના સંશોધકો અનુસાર આ મેસોજોઈક યુગના પ્રથમ વિકસિત થયેલા મચ્છર છે, જેના કારણે આ શોધ વિશેષ બની છે. આ શોધથી વિજ્ઞાનીઓ એવી પદ્ધતિ વિકસાવી શકશે જેના કારણે મચ્છરોને મનુષ્યોને કરડવાની ઈચ્છા જ નહિ થાય અને તેનાથી અનેક રોગોના સંક્રમણ ટાળી શકાશે.આ ફોસિલની સૌથી રસપ્રદ બાબત છે કે તેના લાર્વા આધુનિક મચ્છરો સાથે ઘણુ સામ્ય ધરાવે છે. અગાઉ મળેલા ફોસિલ્સમાં મચ્છરોના વયસ્ક રૂપ અલગ અને વિચિત્ર દેખાતા હતા, પણ આ લાર્વા આજના મચ્છરો સાથે સામ્યતા ધરાવે છે. તેનાથી સંકેત મળે છે કે મચ્છરોના કેટલાક સમૂહ કરોડો વર્ષોથી બદલાયા નથી અને તેમનો વિકાસ દર સ્થિર રહ્યો છે.

આ શોધથી એવી પણ જાણકારી મળી છે કે મચ્છરોની ઉત્પતિ જુરાસિક કાળમાંથી થઈ હતી અને તેઓ એ સમયે અલગ-અલગ રૂપમાં વિકસિત થઈ ચુક્યા હતા. આજના સાબેથિનિ સમૂહના લાર્વા નાના જળસ્રોતોમાં રહે છે, અને આ પ્રાચીન લાર્વા પણ સંભવત: એવા જ વાતાવરણમાં રહેતા હતા. એમ્બરમાં આવી રીતે જળજીવ મળવા અત્યંત દુર્લભ છે, જેનાથી આ શોધ વધુ મહત્વપૂર્ણ બની છે.વિજ્ઞાનીઓએ મચ્છરોના વ્યવહાર સાથે સંકળાયેલી એક મહત્વપૂર્ણ શોધ પણ કરી છે. કોલંબિયા યુનિવર્સિટીની ટીમને જાણ થઈ છે કે માદા મચ્છરોના શરીરમાં વિશેષ કોશિકા હોય છે, જે લોહી ચૂસ્યા પછી થોડા સમય માટે મનુષ્યોને ડંખ મારવાની ઈચ્છા અટકાવી દે છે. આ નિયંત્રણ મગજની બદલે મચ્છરના પેટના હિસ્સાથી સંકળાયેલું છે.
આ પ્રક્રિયા એનપીવાયએલઆર-૭ નામના રિસેપ્ટરથી નિયંત્રિત થાય છે, જે ભોજન પછી ભૂખ અને પ્રજનનને પ્રભાવિત કરે છે. સંશોધનમાં એવી પણ જાણકારી મળી છે કે આ સીસ્ટમને પ્રભાવિત કરવાથી મચ્છરોની પ્રજનન ક્ષમતા ઘટી જાય છે. વિજ્ઞાનીઓના મતે આ શોધના આધારે ભવિષ્યમાં એવા ઉપાય વિકસાવી શકાય જે મચ્છરોની ડંખ મારવાની આદતને નિયંત્રિત કરીને બીમારીઓના પ્રસારને ઓછો કરવામાં મદદ કરે.

