ગુજરાત રાજ્યમાં બાળ આરોગ્ય અને કુપોષણની સ્થિતિ અંગે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. નાગરિક નોંધણી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ રાજ્યમાં માત્ર એક જ વર્ષના સમયગાળા દરમિયાન કુપોષણના કારણે 12,482 જેટલાં માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. હિસાબ કરવામાં આવે તો રાજ્યમાં દરરોજ સરેરાશ 34 જેટલાં બાળકો કુપોષણ અને તેને લગતી બીમારીઓ સામેનો જંગ હારી રહ્યા છે. બાળ મૃત્યુદરના આ ભયાનક આંકડાઓએ રાજ્યની આરોગ્ય વિષયક સેવાઓ અને બાળ વિકાસ યોજનાઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સરકારી પોષણ યોજનાઓ સામે ઉઠ્યા ગંભીર સવાલો
જાહેર કરાયેલા આંકડાઓમાં રાજ્યના વિકસિત અને મેટ્રો શહેરોમાં સ્થિતિ વધુ ચિંતાજનક જોવા મળી છે. રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 2,775 બાળકોના કુપોષણના કારણે મોત નોંધાયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના હબ ગણાતા સુરત શહેરમાં 1,552 માસૂમ બાળકોના મોત થયા છે. મોટા શહેરોમાં સ્લમ વિસ્તારો અને શ્રમિક પરિવારો સુધી પૌષ્ટિક આહાર તેમજ પ્રાથમિક આરોગ્ય સેવાઓ સમયસર ન પહોંચવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
આરોગ્ય વિભાગની યોજનાઓ અને અમલીકરણ સામે ગંભીર સવાલો
સરકાર દ્વારા ચલાવવામાં આવતી ટેક-હોમ રાશન, બાલ ભોગ અને આંગણવાડી કેન્દ્રો મારફતે અપાતા પોષણક્ષમ આહારના વિવિધ કાર્યક્રમો છતાં આટલી મોટી સંખ્યામાં બાળકોના મોત થતાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. નાગરિક નોંધણી વિભાગના આ આંકડા સામે આવ્યા બાદ સામાજિક સંસ્થાઓ અને વિપક્ષો દ્વારા પણ તંત્ર સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માંગ કરી રહ્યા છે કે કાગળ પરની યોજનાઓ સિવાય ધાત્રી માતાઓ અને કુપોષિત બાળકો સુધી સીધો પૌષ્ટિક આહાર પહોંચે તેવું કડક અને કાયમી આયોજન કરવામાં આવે.

