આણંદના ભાદરણ ગામમાં આધેડની હત્યા થતા ચકચાર મચી છે. ગામના NRIના ઘર અને ખેતરનું રખોપુ કરતા આધેડની કોઈ અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી તપાસ અને કાર્યવાહી આરંભી દીધી છે. ઘટનાની ગંભીરતાને લઈ ડોગ સ્ક્વોડ અને FSLની ટીમ પણ રવાના થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
NRI ના બંગલાનું અને જમીનનું કરતા હતા રખોપુ
પ્રાપ્ત માહિતી મુજબ ભાદરણના ઠાકોર મણીભાઈ પટેલનો પરિવાર વર્ષોથી અમેરિકા સ્થાયી થયો છે. NRI પરિવારના સભ્યો વાર તહેવાર કે પ્રસંગોપાત અહીં વતન આવતા જતા હોય છે. પરંતુ પરિવારના કોઈ પણ સભ્ય અહીં રહેતો ન હોવાથી ગામના રમતુભાઈ આશાભાઈ ભોઈને ઘર અને જમીનનું રખોપુ સોંપ્યું હતું.
NRI પરિવારના ખાસ વિશ્વાસુ હતા
મૃતક રમતુભાઈ ભોઈ NRI પરિવારના વિશ્વાસુ માણસ અને પરિવારના સભ્ય જેવા જ હતા. દિવસે જમીનની દેખરેખ કરી મૃતક રમતુભાઈ ભોઈ રાત્રીના 8.30થી 9 વાગ્યાની આસપાસ NRI પરિવારના કસારી રોડ ખાતેના બંગલે આવી જતા હતા. જે સવારે ઉઠીને 8.30થી 9 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરત જતા હતા. આ તેઓનો નિત્ય અને નિયમિત ક્રમ બની ગયો હતો.
આજે સોમવારે સવારે તેઓ નિયત સમય વીતી જવા છતાં ઘરે ન આવતા રમતુભાઈના દીકરા NRI પરિવારના બંગલે પિતાને બોલાવવા પહોંચ્યા હતા. જ્યાં રમતુભાઈ ભોઈ મૃત હાલતમાં જણાયા હતા. જે અંગે મૃતક રમતુભાઈના પરિવારજનો દ્વારા ભાદરણ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ સહિત કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ઓફિસની અંદર પણ સઘળું વેરવિખેર જોવા મળ્યું
મહત્વનું છે કે, NRI ઠાકોરભાઈના બંગલામાં પ્રવેશ થતા જ મિલન મુલાકાત અને વ્યવસાયિક કામ માટે ઓફીસ બનાવેલી છે. જ્યાં મૃતક રમતુભાઈ ભોઈ સુતા હતા. રાત્રીના અજાણ્યા હુમલાખોર કે ઘરફોડ ચોરી કરતા તત્વોએ હુમલો કરી હોવાની વિગતો મળી છે. ઓફિસ રૂમની અંદર પણ સઘળું વેરવિખેર જોવા મળ્યું હતું. ગામના ટોળા એકત્ર થતા પોલીસે કડકાઈ કરી દૂર કર્યા હતા. પોલીસે તપાસની કાર્યવાહીના ભાગ રૂપે ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ રવાના થઈ હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.