હોલિકા દહનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસને સત્ય પર અસત્યની જીતના પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો આખા પરિવાર સાથે મળીને હોલિકા માતાની પૂજા કરે છે અને શુભ મૂહુર્તમાં હોલિકા દહન કરે છે. એવી માન્યતા છે કે, વિધિ-વિધાનથી કરવામાં આવેલું હોલિકા દહન જીવનમાં સકારાત્મક ઊર્જા અને સુખ-સમૃદ્ધિ લઈને આવે છે. પરંતુ તેના માટે કેટલાક જરૂરી નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

હોલિકા દહનના 5 મહત્ત્વના નિયમ
1. વસ્ત્રોનું ધ્યાન રાખો
આ દિવસે સફેદ, પીળા અથવા લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. કાળા રંગના કે ચામડાના કપડાં પહેરવા ટાળવા જોઈએ, કારણ કે તેને નકારાત્મકતા સાથે જોડવામાં આવે છે. સ્ત્રીઓએ ખૂબ ચમકીલા કે ઘાટા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ.

2. પ્રદક્ષિણા અને અર્પણનું મહત્ત્વ
હોલિકા દહન પહેલા કાચા દોરા અથવા કલાવા લઈને 5થી 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યારબાદ જવ અથવા ચોખા અગ્નિમાં અર્પણ કરો. નવી લણણીને શેકીને તેને પ્રસાદ તરીકે ઘરે લાવવી અને તેનું વિતરણ કરવું શુભ માનવામાં આવે છે.
3. અગ્નિ પાસે થોડો સમય રોકાવું
ઘણીવાર લોકો હોલિકા દહન કર્યા બાદ તરત જ પાછા ફરે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. વ્યક્તિએ ત્યાં થોડો સમય રોકાઈને અગ્નિની પ્રદક્ષિણા કરવી જોઈએ. એવી માન્યતા છે કે આનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. બીજા દિવસે હોલિકાની રાખ ઘરે લાવીને તિલક લગાવવું અને ઘરમાં છાંટવું શુભ માનવામાં આવે છે.
4. મહિલાઓએ આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું
પૂજા કરતી વખતે મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. એવી માન્યતા છે કે, ખુલ્લા વાળ નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે, તેથી પૂજા દરમિયાન વાળ બાંધીને રાખવા.
5. તામસિક વસ્તુઓથી દૂર રહો
હોલિકા દહનના દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન કરવું યોગ્ય માનવામાં આવે છે, કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
હોલિકા દહન પર ભદ્રાનો છાયો રહેશે
દ્રિક પંચાંગ પ્રમાણે આ વર્ષે હોલિકા દહન 2 માર્ચની રાત્રે કરવામાં આવશે, જેનું શુભ મૂહુર્ત સાંજે 6:22થી 8:50 વાગ્યા સુધીનું છે. આ જ દિવસે સાંજે 5:55 વાગ્યાથી ભદ્રા કાળ શરુ થઈને 3 માર્ચની સવારે 4:28 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષીઓના મતે આ વખતે ભદ્રાનો પ્રભાવ પૃથ્વી લોક પર રહેશે, તેથી પ્રદોષ કાળ દરમિયાન પૂજા કરવી યોગ્ય માનવામાં આવી છે. આ સમય દરમિયાન દાન-પૂણ્ય કરવું પણ લાભદાયી છે.

