ગારિયાધાર નવાગામ રોડ પર ઠાંસા ઘોબા વચ્ચેના પુલ પરથી છકડો ચાલક નદીમાં તણાયો હોવાનો બનાવ સામે આવતા ભાવનગર ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ડુબનારા શખ્સની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી શખ્સને શોધી શકાયો નહોતો. પાલિતાણાના જામવાળી રોડ ચુવાળીયાનો ઢોરો વિસ્તારમાં રહેતા અને ગામડે-ગામડે લસણ-ડુંગળી વેચવાનું ફેરીનું કામ કરતા બુધાભાઈ નાનુભાઈ વાઘેલા (ઉ.વ. 39) આજે બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન ગારિયાધાર નવાગામ રોડ પર ઠાંસા ઘોબા વચ્ચે આવેલા શેત્રુંજી નદી પરના કોઝ-વે પરથી પાણી વહી રહ્યું હતું.
અને તેમાંથી છકડો પસાર કરતા હતા ત્યારે પુલ પરની લીલના કારણે અચાનક છકડો નદીના વહેણમાં લપસતો હોવાનું તેમને માલુમ પડતા તેઓ છકડામાંથી પાણીમાં કુદી જતાં ડુબ્યા હતા જ્યારે છકડો એ જ સ્થિતિમાં પુલ પર રહ્યો હતો. આ અંગે ડિઝાસ્ટર કંટ્રોલ દ્વારા ભાવનગર ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચી મોડી સાંજ સુધી તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ સફળતા મળી નહોતી. જ્યારે બનાવની જાણ થતાં ગારિયાધાર પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી.
3 માસ પુર્વે આ જ સ્થળે અકસ્માત સર્જાયો હતો
શેત્રુંજી નદીના આ બેઠા પુલ પર ત્રણ માસ પહેલા પિતા-પુત્ર તણાયા હતા.ગત તા. 12/7ના રોજ પાંચટોબરા ગામના લાધાભાઈ ગોહિલ અને તેમના પુત્ર રોહિતભાઈ ગોહિલ બાઈક પર ભમોદ્ધા ગામે જઈ રહ્યાં હતા ત્યારે નદીના પ્રવાહમાં તણાયા હોવાનો બનાવ બન્યો હતો. જેના ત્રણ માસ બાદ ફરી અહીં નદીના પ્રવાહમાં ડુબવાનો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ ઉંચો બનાવવામાં આવે તેવી આજુબાજુના ગ્રામજનોએ અનેકવાર રજુઆત કરી ચુક્યા છે.