બોલિવૂડની વીતેલા જમાનાની અભિનેત્રી મીના કુમારીની આજે 52મી પુણ્યતિથિ છે. મૂળ નામ તો હતું મેહઝબીન બાનો. પરંતું વિધિની વક્રતા એ હદે કઠોર રહી કે મીના કુમારીએ જિંદગીના માત્ર 4 દાયકા પસાર કરીને રંગમચ પરથી હમેશા માટે એક્ઝિટ કરવી પડી.માત્ર 39 વર્ષની યુવાન વયે એકસાથે અનેક દુઃખ, સમસ્યાઓ, શારીરિક બીમારી અને પતિ સાથેના સંબંધોમાંથી ઉપજેલો ખાલીપો ભીતરમાં લઈને અંતિમ વાટ પકડી હતી.
મીના કુમારી માટે જીવનમાં પણ પડદા પરની પટકથા જેવી જિંદગી રહી હતી. એટલે જ મીના કુમારીને જીવનના અનુભવે ઉર્દુમાં શાયરી-શેર રચી શકતા હતાં. હિન્દી ફિલ્મોમાં મીના કુમારીએ અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. બોલિવૂડની સૌથી વધુ મહેનતાણું મેળવનારી અભિનેત્રીઓમાં મીના કુમારીનો સમાવેશ થતો હતો. નરગીસ, સાધના, મધુબાલા, હેમા માલિની જેવી અભિનેત્રીઓ કરતાં મીના કુમારીએ નોખો ચીલો ચાતરી દર્શકો પર અમીટ છાપ છોડી હતી. મીના કુમારી સાથે તેની સમકક્ષ અભિનેતાઓ તેની સાથે કામ કરવા તલપાપડ રહેતા હતા. ધર્મેન્દ્ર, રાજેન્દ્ર કુમાર, રાજ કુમાર, દિલીપ કુમાર, સુનિલ દત્ત, સંજીવ કુમાર જેવાં મોટા અભિનેતાઓ પણ હંમેશા મીના કુમારી સાથે ફિલ્મ કરી પોતાને ધન્ય સમજતા હતા. જ્યારે મોટા ગજાના નિર્દેશકો પણ મીના કુમારીને કેંદ્રમાં રાખીને ફિલ્મોનું નિર્દેશન કરતા હતા. એક તવાયફ ઉપર બનેલી ફિલ્મ ‘પાકિઝા’એ સમયે બૉક્સ ઓફીસ પર ધનનાં ઢગલા ખડકી દીધા હતા..જેથી એ સમયના ફિલ્મ વિવેચકો તવાયફ જેવા નાકનું ટીંચકુ જેવા વિષય પર બનેલી ફિલ્મ પર ફેર વિચારણા કરતા થઈ ગયા અને ત્યારબાદ બોલીવૂડમાં આ પ્રકારની ફિલ્મોને પણ સ્થાન અને ખ્યાતિ મળવા લાગી.
આજથી બરાબર 50 વર્ષ અગાઉ 60 મિલિયન ડોલરનો વ્યવસાય કરનારી ‘પાકિઝા’ ફિલ્મ બોલિવૂડનની ગોલ્ડન વારસા સમાન ફિલ્મ નિવડી ચૂકી હતી…14 વર્ષ જેટલા લાંબા અરસા સુધી ફિલ્મ પૂરી થતાં ફિલ્મની હિરોઈન મીના કુમારી, ડાયરેક્ટર કમાલ અમરોહી અને કમનસીબ પાકિઝા ફિલ્મ સાથે અનેક સમસ્યાઓનું નિર્માણ થયું હતું. મીના કુમારી અને પતિ કમાલ અમરોહીના છૂટાછેડા તેમજ ફિલ્મ શૂટિંગ દરમિયાન મીના કુમારીને લિવર સિરોસિસ જેવી જીવલેણ બીમારીએ પણ મીના કુમારી સાથે ધીમી પણ મક્કમ ગતિએ પોતાના આલિંગનમાં લેવાનો પ્રયાસ કર્યો. આખરે એ સમય પણ આવી ગયો જ્યારે મીના કુમારીને લિવરની બીમારીએ આ ફાની દુનિયાને અલવિદા કરાવી દીધું…કદાચ મોત જ મીના કુમારી માટે સૌથી પ્રિય વ્યવહાર કરી શક્યું હતું. જીવનમાં કેટલીક ખાસ વ્યક્તિથી ઠોકર ખાઈને વાઈનનો સહારો પણ પણ અલ્પજીવી નિવડ્યો અને એકપછી એક કડવા અનુભવે જીવનમાં ખાલીપો સર્જી દીધો…મીના કુમારીનનાં નિધન પર નરગીસે દત્તે એટલે જ કદાચ કહ્યું હશે કે, “મીના! મોત તુમ્હે મુબારક હો…!”