દેશમાં કોરોનાના કેસ મામલે હવે કેરળની સ્થિતિ ચિંતા વધારી રહ્યું છે. અહીં દરરોજ 5-6 હજાર કેસ આવે છે. અહીં મંગળવારે કોરોનાના નવા 6049 કેસ સામે આવ્યા હતા. આ થોડા દિવસો પહેલાં ટોચના સ્થાને ચાલી રહેલા મહારાષ્ટ્રની સરખામણીએ લગભગ ડબલ છે. અહીં મંગળવારે 3106 કેસ નોંધાયા હતા. કેરળમાં હવે 61 હજાર એક્ટિવ કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 58 હજાર.
દેશમાં મંગળવારે 23 હજાર 880 કેસ નોંધાયા હતા અને 27 હજાર 32 દર્દી સાજા થયા હતા. 329 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ, એક્ટિવ કેસમાં 3498નો ઘટાડો થયો છે. દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 99 લાખના કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 96.6૨ લાખ દર્દી સાજા થયા છે અને 1.46 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. કુલ 2.87 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.
બ્રિટનથી એક મહિનામાં 50 હજાર 832 લોકો આવ્યા, આ બધા લોકોની શોધખોળ કરાઈ રહી છે
બ્રિટનમાં જોવા મળતા નવા કોરોના સ્ટ્રેનના ફેલાવાને રોકવાની કવાયત તેજ બની છે. છેલ્લા એક મહિનામાં (25 નવેમ્બરથી 22 ડિસેમ્બર) બ્રિટનથી ભારત આવેલા તમામ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી રાજ્યો સાથે શેર કરવામાં આવી રહી છે. કેન્દ્ર અનુસાર, એક મહિનામાં કુલ 50 હજાર 832 લોકો બ્રિટનથી ભારત આવ્યા છે. સૌથી વધુ 16 હજાર 281 લોકો દિલ્હીમાં ઊતર્યા છે. આ બધા લોકોની શોધખોળ શરૂ થઈ ગઈ છે.
મંગળવારે 1500થી વધુ લોકો બ્રિટનથી ભારત આવ્યા હતા, જેમાં 24 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. આ સંખ્યા હજી વધી શકે છે, કેમ કે તમામ લોકોના ટેસ્ટના રિપોર્ટ હજી સુધી આવ્યા નથી. અત્યારસુધીમાં ભારત સહિત કુલ 49 દેશ બ્રિટનથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે.
કોરોનાં…
તેલંગાણા સરકારે પ્રાઈવેટ લેબમાં RT-PCR કોવિડ-19 ટેસ્ટનો ચાર્જ નક્કી કરી લીધો છે. હવે 500 રૂપિયામાં જ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. જો લેબનો કર્મચારી કોઈના ઘરે જઈને સેમ્પલ લેશે તો આ માટે રૂ. 750 ચાર્જ લઈ શકશે.
હરિયાણા સરકારે ધોરણ 1થી 8 સુધીનો અભ્યાસ ઓનલાઈન જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઓફિસ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, આ તમામ વિદ્યાર્થીઓનું મહિને એસેસમેન્ટ કરવામાં આવશે.
બ્રિટિશ એરવેજથી આવેલા 199 મુસાફરોનો કોરોના રોપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ માહિતી ડાયગ્નોસ્ટિક લેબ્સના COO ચેતન કોહલીએ આપી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાથી જીવ ગુમાવનાર સિવિક વોલંટિયરના પરિવાર માટે મોટી જાહેરાત કરી છે. આવા સિવિક વોલંટિયરના પરિવારના એક સભ્યને સરકાર દ્વારા નોકરી આપવામાં આવશે.
5 રાજ્યની પરિસ્થિતિ
1. દિલ્હી
રાજધાની દિલ્હીમાં મંગળવારે 939 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. 1434 લોકો સ્વસ્થ થયા અને 25 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 6 લાખ 18 હજાર 747 લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. તેમાંથી 5 લાખ 99 હજાર 683 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે 10 હજાર 329 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 8735 પર પહોંચી ગઈ છે.
2. મધ્યપ્રદેશ
મંગળવારે રાજ્યમાં કોરોનાના 1005 નવા કેસ નોંધાયા છે. 1053 લોકો સાજા થયા અને 12 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 2 લાખ 33 હજાર 324 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 10 હજાર 994 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે 2 લાખ 18 હજાર 828 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 3502 પર પહોંચી ગઈ છે.
3. ગુજરાત
મંગળવારે રાજ્યમાં 988 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 1209 લોકો સાજા થયા અને 7 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 2 લાખ 37 હજાર 247 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 11 હજાર 297 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે 2 લાખ 21 હજાર 702 લોકો સાજા થયા છે. કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 4248 થઈ છે.
4. રાજસ્થાન
મંગળવારે રાજ્યમાં 807 નવા કેસ નોંધાયા છે. 8 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1159 લોકો સ્વસ્થ થયા હતા. આ સાથે હવે અહીં દર્દીઓની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. અત્યારસુધીમાં 3 લાખ 716 લોકોને સંક્રમણ લાગ્યું છે. કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે વધીને 2634 થઈ ગઈ છે. અત્યારસુધીમાં 2 લાખ 86 હજાર 481 લોકો સાજા થઈ ચૂક્યા છે. 11 હજાર 601 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે.
5. મહારાષ્ટ્ર
મંગળવારે રાજ્યમાં 3106 નવા કેસ નોંધાયા છે. 4122 લોકો સજા થયા અને 75 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 19 લાખ 2 હજાર 458 લોકોને સંક્રમિત થયા છે, જેમાં 48 હજાર 876 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 58 હજાર 376 દર્દી હજી સારવાર હેઠળ છે. અત્યારસુધીમાં 17 લાખ 94 હજાર 80 લોકો સાજા થઈ ચૂક્યા છે.