વડોદરા સહિત રાજ્યભરમાં દિવાળી પછી કોરોનાના કેસોમાં ખુબ વધારો જોવા મળ્યો છે. જોકે વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે રાહતના સમાચાર આપ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, ગત સપ્તાહે થયેલા ડોર ટુ ડોર સર્વેક્ષણના 13માં રાઉન્ડની સરખામણીમાં વર્તમાને સપ્તાહે થયેલા 14માં રાઉન્ડમાં કોવિડ જેવા લણોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જોકે તેમ છતાં, આગામી બે સપ્તાહ સુધી સંપૂર્ણ સાવચેતી લેવી અને તકેદારી રાખવી અનિવાર્ય છે. હવે આગામી 7થી 11 ડિસેમ્બર દરમિયાન ડોર ટુ ડોર આરોગ્ય સર્વેના 15માં રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યુ છે.
5 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સ્થિરતા આવી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વાનુમાન આધારિત તકેદારીના વિવિધ પગલાઓના લીધે છેલ્લા 5 દિવસ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સ્થિરતા આવી છે, તેમ છતાં, આગામી 2 સપ્તાહ સુધી સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે.
20થી 26 નવેમ્બર દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સર્વોચ્ય રહી
તેવી જ રીતે 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં સ્થિરતા જોવા મળી છે. 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 20થી 26 નવેમ્બર દરમિયાન સર્વોચ્ય રહી હતી. જોકે સંખ્યામાં સ્થિરતા છતાં ઘટાડો તીવ્ર અને સ્થાઈ જણાયો નથી.