દિલ્હી લીકર સ્કેમ પોલિસીને લઇને આપ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીન જાણે ગ્રહણ લાગ્યુ હોય તેમ લાગી રહ્યું છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવી છે.મહત્વનું છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને અગાઉ પણ રાહત મળી ન હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો છે અને તેની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી હતી.
અગાઉ મનીષ સિસોદિયાએ તિહાર જેલમાંથી તેમના મતવિસ્તારના લોકોને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે સ્વતંત્રતા સેનાનીઓ પર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર સાથે તેમની સ્થિતિની તુલના કરી હતી અને શિક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ પણ આશા વ્યક્ત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે.
મનીષ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી તિહાર જેલમાં બંધ છે. આ મામલાને લઈને CBI અને EDનો દાવો છે કે, સિસોદિયાએ દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે એક્સાઈઝ પોલિસીમાં ફેરફાર કર્યો હતો. જેના કારણે AAP નેતાઓને લાંચ તરીકે મોટી રકમ મળી હતી. આ પહેલા મનીષ સિસોદિયાની જામીન અરજી પર પણ 2જી એપ્રિલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન તેણે કોર્ટમાં કહ્યું હતું કે, તેને જેલમાં રાખવાનો કોઈ ફાયદો નથી કારણ કે તેની સામે ચાલી રહેલી તપાસ પૂરી થઈ ગઈ છે.
ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમની કૌભાંડ માં તેમની કથિત ભૂમિકા માટે 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CBI FIR સંબંધિત મની-લોન્ડરિંગ કેસમાં EDએ 9 માર્ચ, 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.