સુરત. શહેરમાંથી ઓડિશાવાસી શ્રમિકોને ટ્રેન મારફતે વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. જોકે, મોટા પ્રમાણમાં ઓડિશાવાસી સુરતમાં વસતા હોવાથી થોડો વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને શ્રમિકો વતન મોકલવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આજે પાંડેસરા વિસ્તારના પુનિત નગરમાં શ્રમિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા આગેવાનો સાથે મળી સમજાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
સુરતમાં વસતા લોકોને ટ્રેન મારફતે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે
કોરોના અને લોકડાઉનના કારણે સુરત શહેરમાં વસતા શ્રમિકોની એવી તો દયનીય હાલત થઇ ગઇ છે કે તેમણે કોઇ પણ હિસાબે વતન પહોંચવુ છે. આ માટે તેમની પાસે રૃપિયા નહીં હોય તો પણ વતનથી મંગાવીને કે પછી ભાઇબંધ દોસ્તારો પાસેથી ઉછીના લઇને પણ વતન જઇ રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ રાજ્યોના સુરતમાં વસતા લોકોને ટ્રેન મારફતે વતન પહોંચાડવામાં આવે છે. સુરત શહેરમાંથી અત્યાર સુધીમાં ઉતરપ્રદેશ, ઓડિશા, બિહાર, ઝારખંડ માટે કુલ 18 ટ્રેનો દોડી ચૂકી છે. જેમાં 20,000 થી વધુ શ્રમિકો રવાના થયા છે.
મોટી સંખ્યામાં ઓડિશાવાસી એકઠાં થયા
ઓડિશાવાસીઓની સુરતમાં સંખ્યા વધુ હોવાથી થોડો વિલંબ થઈ રહ્યો છે. જેથી શ્રમિકો રસ્તા પર ઉતરી આવી વતન મોકલવા માંગ કરી રહ્યા છે. આજે આજે પાંડેસરા વિસ્તારના પુનિત નગરમાં શ્રમિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા આગેવાનો સાથે મળી સમજાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.