કેરળના અર્નાકુલમમાં ક્લામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ મોટા બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે. એક વ્યક્તિએ કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બ્લાસ્ટ કરવાની જવાબદારી સ્વીકારી છે અને તેને સરેન્ડર કર્યું છે. આ વ્યક્તિએ પોલીસ સામે સ્વીકાર્યું કે આ બ્લાસ્ટ પાછળ તેનો જ હાથ છે. હાલ પોલીસ વધુ તપાસ માટે વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. જો કે હજુ સુધી પોલીસે કોઈ પુષ્ટિ કરી નથી કે તેનું આ ઘટના સાથે કનેક્શન છે કે નહીં.
આ ઘટના બાદ સુત્રો પરથી માહિતી મળી રહી છે કે, વિસ્ફોટોની જવાબદારી સ્વીકારનાર વ્યક્તિએ ત્રિશૂર પોલીસ સ્ટેશન સમક્ષ સરેન્ડર કર્યું છે. વ્યક્તિએ દાવો કર્યો કે, તેણે બોમ્બ પ્લાન્ટ કર્યો જેના પરિણામે એક મહિલાનું મોત થયું હતું અને 40 લોકો ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક આ ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.કેરળના ADGP એમઆર અજિત કુમારે જણાવ્યું કે, એક વ્યક્તિએ ત્રિશૂર ગ્રામ્યના કોડાકરા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. તેણે દાવો કર્યો છે કે, આ બ્લાસ્ટ તેણે કર્યો છે. તેનું નામ ડોમિનિક માર્ટિન છે. શખ્સે દાવો કર્યો છે કે, તે એજ સભાના સંગઠનથી જોડાયેલો છે.કેરળના DGP ડો. શેક દરવેશ સાહેબે જણાવ્યું છે કે આજે સવારે થયેલા બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા, જેમની હાલ સારવાર થઈ રહી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમારા વધારાના DGP સહિત વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર છે તેમજ આ ઘટનાની પાછળ કોણ છે તે શોધી કાઢીશું અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ અમે ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી અને બોમ્બ વિસ્ફોટ પછી રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે NIA અને NSGની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કેસની તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાની કેન્દ્રિય તપાસ એજન્સીઓ આતંકવાદી એંગલથી તપાસ કરી રહી છે, ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે જ હમાસના નેતાએ વર્ચ્યુઅલ મીટિંગને સંબોધિત કરી હતી અને ત્યારબાદ આ બ્લાસ્ટની ઘટના બની છે તેથી એજન્સીઓ દ્વારા આ ઘટનાને આતંકવાદી એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.