સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાં બાદ નિલેશ કુંભાણી અને તેમનો પરિવાર સંપર્ક વિહોણા થઈ ગયા હતા. અમરોલીના કોંગ્રેસના નેતાએ કુંભાણીને ધમકી આપતાં કુંભાણીના સરથાણા ખાતેના નિવાસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો બીજી તરફ નિલેશ કુંભાણીનો પરિવાર નાટકીય ઢબે સુરત નિવાસ્થાને પહોંચી ગયો હતો.
ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા
સુરત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ વાજતે ગાજતે ફોર્મ ભર્યું હતું. પરંતુ ફોર્મ પર જે કુંભાણીના સગાઓએ સાક્ષી તરીકે સહી કરી હતી તે ટેકેદારો એફિડેવિટ કરીને સહી તેમની ન હોવાનું જણાવ્યા બાદ હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા થયો હતો. બાદમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ સમગ્ર ઘટના બાદ નિલેશ કુંભાણી અને તેમનો પરિવાર ગાયબ થઈ ગયો હતો.નિલેશ કુંભાણી ગોવા અને મુંબઈમાં હોવાની અટકળો ચાલી હતી. તો કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણી ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનું કહી રહ્યા હતા. આ તમામ અટકળો વચ્ચે આજે નિલેશ કુંભાણીના પત્ની ઘરે આવ્યા હતા અને તમામ અટકળો ખોટી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે નિલેશ કુંભાણી અમદાવાદ છે અને કોંગ્રેસના નેતાઓને મળશે તેવો દાવો કર્યો હતો. તો બીજી તરફ અમરેલીના કોંગ્રેસના નેતાએ ગઈકાલે ખુલ્લેઆમ કુંભાણીને ધમકી આપી હોવાથી તેમના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.