મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં ડોકટરો સાથે મારપીટના કેસમાં શિવસેના (શિંદે જૂથ)ના કોર્પોરેટર રમેશ મ્હાત્રેની ધરપકડ કરવામાં આવી છે. તેમના ત્રણ સાથીઓને પણ પકડવામાં આવ્યા છે. જ્યારે, એક ડોક્ટરે નોકરીમાંથી રાજીનામું આપીને થાણે છોડી દીધું. તેમણે કહ્યું કે અહીં ડરનો માહોલ છે. હવે ક્યારેય પાછો નહીં ફરું.
આ ઘટના સોમવારે કલ્યાણ-ડોમ્બિવલી નગર નિગમ (KDMC)ની શાસ્ત્રી નગર હોસ્પિટલની છે. હોસ્પિટલના NICUમાં કોઈ બેડ ખાલી ન હતો. તેથી ડોક્ટર સૃષ્ટિ બાવિસ્કર અને ડો. વૈભવ સાલુંખેએ નવજાતના પરિવારજનોને બીજી હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી.
પરિવારજનો આનાથી નારાજ થઈ ગયા. તેમણે શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને હોસ્પિટલમાં બોલાવી લીધા. તેઓ પોતાના ત્રણ સાથીઓ સાથે હોસ્પિટલ પહોંચ્યા. ડોકટરો અને મેડિકલ સ્ટાફ સાથે મારામારીકરી.ડોક્ટરે કહ્યું- ગુંડાઓ નજર રાખી રહ્યા છે, હવે ક્યારેય પાછો નહીં ફરું

મારામારીનો ભોગ બનેલા એક ડોક્ટરે મીડિયાને જણાવ્યું કે ઘટના બાદ તેઓ પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા નથી. તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે અને થાણે છોડી દીધું છે.
ડોક્ટરે કહ્યું, “મેં રાજીનામું આપી દીધું છે કારણ કે ખૂબ જ ડરનો માહોલ છે. ગુંડાઓ અમારા પર નજર રાખી રહ્યા છે. બીજા ડોક્ટરો કામ કરવા માંગતા હોય તો કરે, પરંતુ હું હવે ક્યારેય થાણે પાછો નહીં ફરું.”
શિંદેએ કાઉન્સિલરને ઠપકો આપ્યો, પાર્ટીએ નોટિસ મોકલી
રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે ગુરુવારે જણાવ્યું હતું કે ડેપ્યુટી CM એકનાથ શિંદેએ આરોપી કાઉન્સિલરને ઠપકો આપ્યો છે. તેમણે કહ્યું કે મહિલા ડોક્ટર પર હાથ ઉઠાવવો ખોટું છે અને શિવસેના આ ઘટનાનું સમર્થન કરતી નથી. આ મામલે કોઈ રાજકીય હસ્તક્ષેપ પણ કરવામાં આવ્યો નથી.
કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે સહિત શિવસેનાના અનેક નેતાઓ અને વિપક્ષે આ ઘટનાની ટીકા કરી છે. થાણેના સાંસદ નરેશ મ્હાસ્કેએ જણાવ્યું કે પાર્ટીએ આરોપી કાઉન્સિલરને કારણદર્શક નોટિસ ફટકારી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
