જાહેરાત માટે જામીન અરજીઓનો વિરોધ કરવા બદલ પરંતુ ટ્રાયલ્સમાં વિલંબ કરવા બદલ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ઠપકો આપ્યો. કોર્ટે ચેતવણી આપી હતી કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો રાજ્ય સરકારને જાહેરમાં લોકો સમક્ષ ખુલ્લી પાડી દેવામાં આવશે.
ફોજદારી કેસમાં વિદેશી નાગરિકની જામીન અરજીનો વિરોધ કરવા બદલ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. કોર્ટે કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો રાજ્ય સરકાર આ વલણ ચાલુ રાખશે, તો તેમને જાહેરમાં લોકો સમક્ષ ખુલ્લા પાડી દેવામાં આવશે. ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને શીલ નાગુની બેન્ચ એક વિદેશી નાગરિકની જામીન અરજીની સુનાવણી કરી રહી હતી.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની કામગીરી પ્રત્યે ખુબ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ‘અમને મહારાષ્ટ્રમાંથી દરરોજ આવા કેસ મળે છે. તમે તમારી બધી શક્તિથી જામીનનો વિરોધ કરો છો, પરંતુ ટ્રાયલ ઝડપી બનાવવા માટે કોઈ પગલાં લેતા નથી. જ્યારે અમે કેસની તપાસ કરીએ છીએ, ત્યારે અમને ખબર પડે છે કે પુરાવા ખૂબ જ નબળા છે. અમે તમને જનતા સમક્ષ ખુલ્લા પાડી દઈશું.
તો ચાલો આ આખો મામલો શું છે તેના વિશે તમને જણાવી દઈએ….4 વર્ષથી જેલમાં: અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આ વિદેશી નાગરિકે કોર્ટને જણાવ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી જેલમાં છે.
86 વખત તારીખ પડી, 53 વખત હાજર ન કર્યો: આરોપીના વકીલે જણાવ્યું કે તેનો કેસ 86 વખત નીચલી કોર્ટમાં સુનાવણી માટે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ અને વહીવટીતંત્રે તેને 53 વખત કોર્ટમાં રજૂ કર્યો ન હતો.
સુપ્રીમ કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી અને કહ્યું કે આરોપીને સમયસર કોર્ટમાં રજૂ કરવામાં નિષ્ફળતા મહારાષ્ટ્ર સરકાર અને વહીવટીતંત્રની ઘોર બેદરકારી છે.
સંવિધાન દ્વારા નાગરિકોને આપવામાં આવેલા ‘ઝડપી ન્યાયના અધિકાર’નો ઉલ્લેખ કરતા, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમને શરમ આવે છે. 4 વર્ષમાં, 34માંથી માત્ર 2 જ સાક્ષીઓએ પોતાના નિવેદનો નોંધાવ્યા છે. આ બાબત કોર્ટને છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરી રહી છે.’ બેન્ચે સ્પષ્ટતા કરી કે, જો રાજ્ય સરકાર જામીનનો સખત વિરોધ કરે છે, તો તેની પણ જવાબદારી છે કે તે કોઈપણ વિક્ષેપ વિના ટ્રાયલ ઝડપી બનાવે. પરંતુ, મહારાષ્ટ્ર સરકાર આ સંદર્ભમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
સુનાવણી દરમિયાન, મહારાષ્ટ્ર સરકારના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે રાજ્ય હવે દરેક સુનાવણીમાં બધા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રહ્યું છે. તેના જવાબમાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યોએ ટ્રાયલ ઝડપી બનાવવા માટે સ્પષ્ટ નીતિ બનાવવી જોઈએ. કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે, આ કેસમાં દર અઠવાડિયે ઓછામાં ઓછા 4 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવે, અને આ આદેશનો રેકોર્ડ નીચલી કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં આવો કોઈ કેસ ઉભો થશે, તો રાજ્ય સરકાર સામે વધુ કડક આદેશો આપવામાં આવશે.

