આધુનિક યુગમાં પણ હિન્દુ તહેવારોની શ્રદ્ધા અડગ રહી છે. આજે ભરૂચમાં નોળિયા નોમ (નોળી નોમ)ની પૂજા ગામડાંઓ અને શહેરમાં એકસરખા ઉત્સાહથી કરવામાં આવી.
ગામડાંઓમાં લોકો આજે પણ સાક્ષાત નોળિયાના દર્શન કરીને પૂજા કરે છે. શહેરમાં નોળિયા જોવા ન મળતા હોવાથી, બ્રાહ્મણો લોટના નોળિયા બનાવીને પૂજા કરાવે છે. આ રીતે તહેવારની શ્રદ્ધા જળવાઈ રહે છે.
શ્રાવણ માસમાં એક પછી એક આવતા તહેવારોમાં નવી પેઢીને જોડવા માટે વડીલો થોડી બાંધછોડ કરી રહ્યા છે. શિતળા સાતમમાં પરંપરાગત ખોરાકની જગ્યાએ આધુનિક ફાસ્ટફૂડ પણ સામેલ થઈ ગયું છે.
શહેરીકરણને કારણે સિમેન્ટ-કોંક્રીટના જંગલમાં પર્યાવરણના રક્ષક ગણાતા નોળિયા અદૃશ્ય થઈ ગયા છે. આમ છતાં, નોળિયા નોમની પરંપરા ચાલુ રાખવા માટે બ્રાહ્મણોએ લોટના નોળિયા બનાવવાની પ્રથા શરૂ કરી છે.
ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં આજે મહિલાઓએ લોટના બનાવેલા નોળિયાની પૂજા કરી અને ઉપવાસ રાખ્યો. તેઓ કાપ્યા વગરનો ખોરાક જ ખાય છે. ગામડાંઓમાં હજુ પણ નોળિયા દેખાતા હોવાથી, મહિલાઓ તેમના દર્શન કરીને પૂજા-ઉપવાસ કરે છે.
ફાઇવ-જી ઈન્ટરનેટ અને ઈમેલના આધુનિક યુગમાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારોની ઉજવણીમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. વર્ષો જૂની આ પરંપરા આજે પણ જીવંત રહી છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ

