તાલાલા પંથકના હિરણ નદીની કેનાલની સુવિધાવાળા બોરવાવ ગીર,વિરપુર ગીર, પીપળવા ગીર, ગલીયાવડ, તાલાલા ગીર, ગુંદરણ ગીર, ઘુંસિયા ગીર, ધ્રામણવા, ગુણવંતપુર સહિતના 9 ગામોને ઉનાળું ફસલ માટે કમલેશ્વર ડેમમાંથી પાણી આપવાનું શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળે છે.’

તાલાલા તાલુકા સિંચાઇ સલાહકાર સમિતિની બેઠકમાં આ વર્ષે પણ કમલેશ્વર ડેમમાં પુરતાં પ્રમાણમાં પાણીનો જથ્થો હોય,ઉનાળું પિયત માટે ડેમમાંથી છ પાણ આપવા ખેડુત પ્રતિનિધિઓએ માંગણી કરી હતી. જે સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્વીકારી ખેડુતોની જરૂરીયાત પ્રમાણે ક્રમશઃઉનાળું ફસલ માટે છ પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તે મુજબ તાલાલા પંથકના કેનાલ આધારિત નવ ગામના ખેડૂતોને ઉનાળું ફસલ માટે પાણી આપવાનું શરૂ થયું છે.તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ ચોમાસાની વિદાય પછી પણ ઓવરફ્લો રહ્યો હોય અત્યારે ડેમ છલોછલ ભરેલો છે.આ પાણીનાં ઉપલબ્ધ જથ્થામાંથી વન્ય પ્રાણીઓ માટે જરૂરી જથ્થો અનામત રાખી તાલાલા પંથકના નવ ગામને ઉનાળું સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.આ પાણીમાંથી વધુમાં વધુ 200થી વધુ હેક્ટરમાં રવિ ઉનાળું સિંચાઈ થઈ શકશે. પરિણામે કેસર કેરીના આંબા,શેરડી અને કઠોળ સહિતની ફસલને ઉનાળાના કપરા દિવસોમાં જરૂરી છ પાણી મળતાં ફાયદો થશે.આ ઉપરાંત સાસણ થી તાલાલા સુધીના હિરણ નદીના કાંઠા ઉપરનાં 20 થી 22 ગામના પાણીના તળ જીવંત રહેશે.

