રાજકોટ: મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાએ થોડા દિવસ અગાઉ બાતમીના આધારે શહેરમાં વેચાતા જુદી જુદી બ્રાન્ડના કુલ 4 નોન આલ્કોહોલિક બિયરના 5 લીટરના ટીન પેકના નમૂના લઈ સરકારી લેબોરેટરીમાં મોકલ્યા હતા. બિયરના 4 નમૂના પૈકી વેનપુર બ્રાન્ડ બિયરમાં આલ્કોહોલની હાજરી મળતા નમૂનો નાપાસ થયો છે. અન્ય 3 બ્રાન્ડના બિયર મિસબ્રાન્ડેડ હોય તેના નમૂના પણ નાપાસ થયા છે. આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે ખાદ્યપદાર્થના નમૂના લેવાની ઝુંબેશ શરૂ કરાવી અને તેના રિપોર્ટ ઝડપી મળે તે માટે કાર્યવાહી કરતા આરોગ્યની ટીમને સફળતા મળી છે.
ખાદ્ય ચીજવસ્તુઓ વેચતા રેંકડીધારકોનું ચેકિંગ
ચોમાસાની ઋતુ દરમિયાન ખોરાકજન્ય તેમજ પાણીજન્ય અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કાલાવાડ રોડ, સદર બજાર મેઇન રોડ, નિર્મલા રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ તેમજ ભાવનગર રોડ વિસ્તારમાં આવેલ રેંકડીઓમાં રાઉન્ડ દરમિયાન 36 રેંકડીમાં ચકસણી હાથ ધરી છે. સંભારો, ગાંઠિયા, રબડી, લાડુ, મીઠી ચટણી, પૌવા સહિતના ખાદ્ય પદાર્થના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલ્યા છે.