રાજકોટના અટલ બિહારી વાજપાઇ ઓડિટોરિયમ ખાતે માલધારી સમાજના ઉત્કર્ષ માટે મનોમંથન અર્થે યોજાયેલા રાષ્ટ્રીય સેમિનારમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, માલધારી સમાજ મજબુત, ખડતલ, સ્વાભિમાની અને ખૂબ મહેનતુ સમાજ છે. આ સમાજ પરંપરાગત રીતે સ્થળાંતરિત કરતો સમાજ છે. સમયની સાથે સાથે પરિવર્તન મુજબ આ સમાજને પણ મુખ્ય પ્રવાહમાં ભેળળવો જરૂરી છે. તેમની ઓળખ અને દેશના વિકાસમાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવાનો સમય આવી ગયો છે અને તેમની આવનારી પેઢી ભણી ગણી આગળ આવે તે માટે યથાર્થ પ્રયત્નો કરવાનો પ્રારંભ થઈ ચુક્યો હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું.
પશુપાલન અર્થે વિવિધ ધિરાણ સહાય યોજનાઓના લાભ માલધારી સમાજને મળશે
કાર્યક્રમના પ્રારંભે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ માલધારી સમાજની મહિલાઓએ ઉપસ્થિત મહાનુભાવોનું પારંપરિક સ્વાગત કર્યું હતું. મહાનુભાઓએ માલધારી સમાજ જીવનને ઉજાગર કરતા પ્રદર્શન તેમજ ઊંટ અને બકરીના દૂધની વિવિધ પ્રોડક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.આ અંગે રૂપાલાએ જણાવ્યું હતું કે, માલધારી સમાજ પશુપાલન સાથે સંકળાયેલો છે.PM નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવા કટિબદ્ધ છે તેજ રીતે PM એ માલધારીઓને ખેડૂત સમકક્ષ ગણી તેમને પશુપાલન અર્થે વિવિધ ધિરાણ સહાય યોજનાઓના લાભ મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
સરકાર વિચારતી જાતિના લોકોને મદદરૂપ થાય છે – રૂપાલા
રૂપાલાએ માલધારી સમાજ પશુધનના સંવર્ધન થકી દૂધ તેમજ દૂધની પ્રોડક્ટના સહારે આર્થિક રીતે સધ્ધર બને તે માટે આહવાન કરી કહ્યું હતું કે, માલધારીઓએ પશુઓને યોગ્ય ચારો, પશુ દાણ, રસીઓ સહીત આરોગ્યની સુવિધાઓનો લાભ લેવો જોઈએ. કચ્છના માલધારીઓને આ વિસ્તારમાં પાણીની સુવિધા આ સરકારે પુરી પાડી છે એટલે હવે તેઓને અન્ય સ્થળે આવાગમન કરવું પડતું નથી. કેન્દ્ર સરકાર દ્વારા ‘વન નેશન વન રાસન’, ‘આયુષ્માન ભારત’ જેવી યોજનાઓ વિચારતી જાતિના લોકોને મદદરૂપ બની રહી હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું.
માલધારી બાળકો માટે અભ્યાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયાએ માલધારી સમાજ ખેડૂતો જેમ જ કઠિન પરિસ્થિઓમાં ઉછરી જીવન ગુજારાતો હોવાનું અને તેમને ચોક્કસ રહેણાંક, બાળકો માટે અભ્યાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સંનિષ્ઠ પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.માલધારી સમાજની દુવિધાઓને વાચા આપવાનું કામ સહજીવન જેવી સંસ્થાઓએ કર્યું છે તેમને ખાસ અભિનંદન પાઠવતા મંત્રી રૂપાલાએ આ ચિંતન સેમિનારમાં માલધારી સમાજને ઓળખ અને તેમના ઉત્કર્ષ માટે જરૂરી તમામ સહાયની કેન્દ્ર સરકાર વતી ખાત્રી આપી હતી.