સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમને વર્લ્ડકપ માટે કરાયું શોર્ટલિસ્ટ
વર્લ્ડકપની 5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે શરૂઆત
ફાઇનલ મેચ અમદાવાદના મોદી સ્ટેડિયમ ખાતે રમાશે
આ વર્ષે ભારતમાં રમાનારા વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે અને વર્લ્ડકપનો ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. 10 ટીમ વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટ માટે BCCI દ્વારા રાજકોટ સહિત 12 શહેરોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.જેમાં બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગૌહાટી, હૈદરાબાદ, કોલકત્તા, લખનૌ, ઈન્દોર, રાજકોટ, અમદાવાદ અને મુંબઈનો સમાવેશ થાય છે. ESPN ક્રિકઈન્ફોના અહેવાલ પ્રમાણે વર્લ્ડકપમાં નોકઆઉટ સહિત કુલ 48 મેચ રમાશે જે 46 દિવસ સુધી ચાલશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ વખતે ભારત પહેલીવાર સંપૂર્ણ વર્લ્ડકપની મેજબાની કરી રહ્યું છે. આ પહેલાં ભારતે પોતાના પાડોશી દેશો સાથે મળીને આ મેગા ટૂર્નામેન્ટની યજમાની કરી ચૂક્યું છે. 2011નો વર્લ્ડકપ ભારત ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશની યજમાનીમાં રમાયો હતો. ટૂર્નામેન્ટના અમુક મુકાબલા બાંગ્લાદેશના ઢાકા અને ચિતગોંગ તો શ્રીલંકાના પલ્લેકલ અને કોલંબોમાં રમાયા હતા. જ્યારે ભારતમાં કોલકત્તા, અમદાવાદ, નાગપુર, દિલ્હી, મોહાલી સહિતના શહેરોમાં રમાયા હતા અને ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાઈ હતી.