સમગ્ર ભારતમાં અત્યારે ભારે વરસાદ ખાબકી રહ્યો છે, અને ઠેર ઠેર તબાહીને દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. વરસાદના કારણે થયેલી તબાહી અટકવાનું નામ નથી લઈ રહી. દિલ્હીથી લઈને ઉત્તરાખંડ સુધી પૂરને કારણે લાખો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કારણે અનેક જગ્યાએ શાળાઓ પણ કેટલાક દિવસો સુધી બંધ રાખવી પડી છે. આ કડીમાં લેટેસ્ટ અપડેટ એ છે કે હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પૂરના જોખમને ધ્યાનમાં રાખીને શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. સરકારે આ અંગે આદેશ પસાર કર્યો છે.
આ આદેશ કિન્નૌર જિલ્લાના ડેપ્યૂટી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત તમામ સરકારી, ખાનગી શાળાઓ, પૂર્વ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 22 જુલાઈ 2023 સુધી બંધ રહેશે. આ આદેશ સબ-ડિવિઝન નિચાર અને નંગલા તાલુકાની તમામ શાળાઓને લાગુ પડશે. આ સંદર્ભે કિન્નૌર જિલ્લાના ડેપ્યૂટી કમિશનરે ટ્વીટ કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ભૂસ્ખલન અને પૂરના જોખમને ધ્યાનમાં રાખીને સબ-ડિવિઝન નિચાર અને તહસીલ નંગલાની તમામ સરકારી, ખાનગી શાળાઓ, પ્રી-સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો 20 થી 22 જુલાઈ 2023 સુધી બંધ રહેશે.
હિમાચલ પ્રદેશમાં તાજેતરના ભારે વરસાદ, ભૂસ્ખલન અને વરસાદને કારણે થયેલા વિનાશમાં લગભગ 108 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અઠવાડિયે ત્રણ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા અને કેટલાય વાહનોને નુકસાન થયું હતું. આ ઘટના કુલ્લુના કિયા ગામમાં બની હતી. આ કારણોસર સાવચેતીને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, શાળાના સ્ટાફ, વાલીઓ અને બાળકોને પણ શાળાના સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે જેથી કરીને આગામી શાળા ક્યારે ખુલશે તેના અપડેટ્સ જાણવા મળે. રજાઓ વધી જાય તો તેની માહિતી મેળવીને જ ઘરની બહાર નીકળો.