વડોદરા: વાઘોડિયા તાલુકાના વેજલપુર બ્રિજ નીચેથી હાથ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. હત્યા કરીને ફેંકી દેવાયેલા યુવાનના ખિસ્સામાંથી લિંબુ મળી આવતા તાંત્રિક વિધીનો ભોગ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે પોલીસે તાંત્રિક વિધીની વાતને નકારી દીધી છે. પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે.
વાઘોડિયા પોલીસે યુવાનના મોતની તપાસ હાથ ધરી
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વેજલપુર બ્રિજ નીચે હાથ બાંધેલી હાલતમાં લાશ હોવાની માહિતી વાઘોડિયા પોલીસને મળી હતી. માહિતી મળતા જ પી.આઇ. પી.કે. ગોહિલ તુરંત જ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનના હાથ બાંધેલા હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસે મરણનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.
પોલીસે તાંત્રિક વિધીની વાતને નકારી દીધી
પોલીસ અને સ્થાનિક સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે બ્રિજ પાસેથી નદી પસાર થાય છે. અને નદીની નજીકમાં સ્મશાન આવેલું છે. સોમવારે ચૌદશ હતી. મૃતકના ખીસ્સામાંથી લિંબુ મળી આવતા તાંત્રિક વિધી કરાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, પોલીસ તાંત્રિક વિધીને નકારી રહી છે. હાલ પોલીસે મૃતક ક્યાંનો રહેવાસી છે. તે અંગે તપાસ કરી રહી છે. બીજી બાજુ પોલીસ મૃતકની હત્યા કેવી રીતે થઇ છે. અને ક્યારે થઇ છે. તે જાણવા માટે પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટની રાહ જોઇ રહી છે.