રાજકોટમાં 24 કલાકમાં 9 દર્દીના મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7989 પર પહોંચી છે. જેમાંથી 678 દર્દી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુધવારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 102 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
કોરોના માટે બેડ રિઝર્વમાંથી મુક્તિ આપવા વિચારણા
રાજકોટમાં કેસની સંખ્યા જ્યારે વધવા લાગી હતી તેવા સમયે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને મોટી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ફરજિયાત અમુક સંખ્યા બેડ અનામત રાખવા માટે આદેશ કર્યો હતો. જેમાં હવે છૂટછાટ મળે તેવી સંભાવના છે. જિલ્લામાં ઘણી ખાનગી હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડનો દરજ્જો અપાયો છે. આવી હોસ્પિટલમાં ફક્ત કોરોનાની સારવાર કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આ મામલે જણાવ્યું હતું કે ‘કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને હાલ કોઇ છૂટ આપવામાં નહીં આવે. જ્યાં કોરોનાની સારવાર નથી થતી ત્યાંથી અરજીઓ આવી છે જેમાં હોસ્પિટલને શરતી મંજૂરી આપવા વિચારણા ચાલી રહી છે.
કલેક્ટરે હોસ્પિટલમાં કેટલાક બેડ અનામત રાખવા આદેશ કર્યો હતો
રાજકોટમાં કેસની સંખ્યા એકદમથી વધવા લાગતા દર્દીઓને દાખલ થવામાં પરેશાની ન થાય તે માટે દરેક ખાનગી હોસ્પિટલ કે જેમાં બેડની સંખ્યા વધુ છે તેમને કલેક્ટરે કેટલાક બેડ અનામત રાખવા આદેશ કર્યો હતો. આ બેડ ખાલી રાખવાના હતા અને તેનો ઉપયોગ કરવાનો ન હતો. જેથી જો ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં બેડ ફુલ થાય તો તેવા સંજોગો તંત્ર અન્ય ખાનગી હોસ્પિટલનું મેનેજમેન્ટ હાથમાં લઈ ત્યાં દર્દીઓ દાખલ કરી શકે પણ હવે સ્થિતિમાં સુધારો આવતા આવા બેડનો ઉપયોગ કરવા હોસ્પિટલની રજૂઆતો આવી છે.