મજાક મશ્કરી કરતાં શિક્ષકે વિદ્યાર્થીઓને ફૂટપટ્ટી વડે ઢોર માર માર્યો છે. શિક્ષકે માર મારતાં વિદ્યાર્થીઓના હાથ પર નિશાન પડ્યાં હતાં. આ મામલે વાલીએ સ્કૂલના ટ્રસ્ટીને ફરિયાદ કરતાં સ્કૂલે શિક્ષક સામે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.
વાલીઓએ DEOને લેખિતમાં ફરિયાદ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વસ્ત્રાલમાં આવેલ એકલવ્ય એજ્યુકેશન કેમ્પસમાં ધોરણ 10માં ભણતા કર્મદીપ સિંહ ઝાલા, અંશ અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ ચાલુ વર્ગમાં મશ્કરી કરતા ગોપાલ અહેરવાર નામના શિક્ષકે વિદ્યાર્થીઓને વર્ગની બહાર કાઢીને ફૂટપટ્ટી વડે માર્યા હતા. બાદમાં અન્ય શિક્ષકે જોતા ફરીથી વિદ્યાર્થીઓને વર્ગમાં લઈ જઈને માર્યા હતા. વિદ્યાર્થીઓને એટલી હદ સુધી માર્યા હતા કે વિદ્યાર્થીઓના હાથ અને કાંડા પર નિશાન પણ પડી ગયા છે.સમગ્ર મામલે વાલીએ સ્કૂલના ટ્રસ્ટી,ચાઇલ્ડ હેલ્પલાઇન અને DEOને લેખિતમાં ફરિયાદ કરી છે.
સ્કૂલે શિક્ષક સામે પગલાં લેવાની બાહેધરી આપી
આ અંગે અંશ મકવાણાના પિતા દિનેશભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે, મારા પુત્ર અને અન્ય વાલીના રિતેન્દ્રસિંહ ઝાલા ઝાલાના પુત્ર કર્મદીપસિંહ સહિત કુલ 5 વિદ્યાર્થીઓ મજાક મશ્કરી કરી રહ્યા હતા. ત્યારે શિક્ષકને તેમનું નામ ગોપાલની જગ્યાએ ગોપુ બોલ્યા હોય તેવું લાગતા શિક્ષકે માર માર્યો હતો અને અન્ય 4 વિદ્યાર્થીઓને ફૂટપટ્ટી વડે ઢોર માર માર્યો છે.અન્ય 3 વાલીઓએ ફરિયાદ નથી કરી પરંતુ કે અને મારી સાથે અન્ય વાલીએ આ અંગે ફરિયાદ કરી છે. ત્યારે સ્કૂલે અમને શિક્ષક સામે પગલાં લેવાની બાહેધરી આપી છે.