કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરીને 60% કર્યો છે, જેનાથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે.સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2%ના વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારે DA 58%થી વધારીને 60% કર્યો છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે.
આ પહેલા ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થાને 55%થી વધારીને 58% કરવામાં આવ્યું હતું. છેલ્લું રિવિઝન 1 જુલાઈ 2025થી પ્રભાવી માનવામાં આવ્યું હતું, જેની ચુકવણી એરિયર સાથે કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે (18 એપ્રિલ) દિલ્હીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. આનાથી લગભગ 50.5 લાખ કર્મચારીઓ અને 68.3 લાખ પેન્શનરોને ફાયદો થશે.
કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર, જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં ફેરફાર કરે છે. આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનરોની પેન્શનમાં વધારો થાય છે.
DA શું છે અને તે શા માટે જરૂરી છે?
મોંઘવારી ભથ્થું (DA) સરકારી કર્મચારીઓને આપવામાં આવતું ‘કોસ્ટ-ઓફ-લિવિંગ’ એડજસ્ટમેન્ટ છે. તેની ગણતરી મૂળ પગારની ટકાવારી તરીકે કરવામાં આવે છે.
તેનો મુખ્ય હેતુ વધતી કિંમતો વચ્ચે કર્મચારીઓની વાસ્તવિક આવકનું રક્ષણ કરવાનો છે, જેથી તેમનો પગાર મોંઘવારી સાથે તાલમેલ જાળવી શકે.
8મા પગાર પંચમાં મૂળ પગાર ₹69,000 કરવાની માગ
આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે કર્મચારી સંગઠનો 8મા પગાર પંચ હેઠળ પગાર માળખામાં મોટા ફેરફારોની માગ કરી રહ્યા છે. નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)એ તેના મેમોરેન્ડમમાં 3.83ના ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માગ કરી છે.
જો આ માંગણી સ્વીકારવામાં આવે તો, લઘુત્તમ બેઝિક પે ₹18,000થી વધીને લગભગ ₹69,000 થઈ શકે છે. સંગઠને પગારની ગણતરી માટે પરિવારની વ્યાખ્યામાં આશ્રિત માતા-પિતાને શામેલ કરવા અને પગારની વિસંગતતાઓને દૂર કરવાનો પણ સૂચન કર્યું છે.
જોકે, આઠમા પગાર પંચના અમલની સમયરેખાની જાહેરાત હજુ સુધી થઈ નથી. અટકળો લગાવવામાં આવી રહી છે કે તે જલ્દી લાગુ થઈ શકે છે. પરંતુ તેને સંપૂર્ણપણે અમલમાં આવતા 2028 સુધી રાહ જોવી પડી શકે છે.

