‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભૂતકાળમાં સોશિયલ મીડિયામાં કરેલા બેબાક નિવેદનો હવે ઈટાલિયા માટે અડચણરૂપ બની રહ્યાં છે. જેને લઈને તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ રાજ્યની રાજનીતિના પારો સતત ઉપર ચઢી રહ્યો છે.
અગાઉ અલ્ટિમેટમ અપાયું હતું
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાર્ટીને મજબુત કરવા પ્રયાસ કરી રહેલા ઈટાલિયાને સોશિયલ મીડિયા પર તેમના ભુતકાળના નિવેદનો અડચણરૂપ બની રહ્યાં છે. ભુતકાળમાં કર્મકાંડની પ્રવૃત્તિઓ, કાથાકારો અને સત્યનારાયણ ભગવાનની કથાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગોપાલ ઈટાલિયાએ કરેલા નિવેદનોને લઈને બ્રહ્મ સમાજ અને હિંદુ સમાજની નારાજગી હવે સાપાટી પર આવી છે. ઈટાલિયાના આ નિવેદનને લઈને 14મી જુલાઈ સુધીમાં જગતગુરુ શંકરાચાર્યની માફી માંગવા અલ્ટિમેટમ અપાયું હતું પરંતુ આપ નેતાએ માફી નહી માંગતા રાજ્યભરમાં ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ 175 શહેરોમાં આવેદન પત્ર અપાઈ ચુક્યા છે.
અન્ય શહેરોમાં પણ ફરિયાદ થશે
હવે આ મામલે રાજ્યના તાલુકા મથકોમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની શરૂ થઈ છે. જેના ભાગરૂપે આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ મથકમાં બ્રહ્મસેના દ્વારા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ બ્રહ્મસમાજ તથા હિંદુ ધર્મની લાગણી દુભાવવા બદલ બ્રહ્મસેના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હવે કેજરીવાલે માફી માંગવી પડશે
ગોપાલ ઈટાલીયા નિયત સમયમાં દ્વારકા ગયા નહી તે શંક્રાચાર્યજી પીઠનું અપમાન છે. ઈટાલીયાને દ્વારકા જતા કેજરીવાલ રોકી રહ્યા હોય તે સ્પષ્ટ જોઈ શકાય છે. કેમ તેમણે ઈટાલીયાને માફી માંગવા જવા પ્રેરણા ના આપી? હવે કેજરીવાલ માફી માંગે તો જ આંદોલન સમાપ્ત થશે. બ્રહ્મસેના વિશ્વ હિંદુ પરિષદને સાથે રાખી, સાધુ-સંત કથાકારને આ આંદોલનમાં જોડવાનો પ્રયાસ કરશે.
ફરિયાદ લીધી છે, તપાસ શરૂ કરાશે
આ અંગેની ફરિયાદ લઈ લેવામાં આવી છે. પોલીસ તરફથી ફરિયાદ બાદની જે રૂટિન પ્રક્રિયાઓ થતી હોય છે તે કરી આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.