અજમેર: રાજસ્થાનના અજમેર પાસે આવેલી પુષ્કર ઘાટીમાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એક બસ અચાનક અનિયંત્રિત થઈને આશરે 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં એક નિર્દોષ બાળકનું એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 31 જેટલા મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મામેરાની વિધિ માટે જઈ રહ્યો હતો પરિવાર
મળતી માહિતી મુજબ, બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. આ તમામ લોકો પીસાંગણથી પુષ્કર તરફ મોસાળું લઈને જઈ રહ્યા હતા. પુષ્કરથી આશરે 3 કિલોમીટર પહેલા, ‘સાંઝી કી છત’ વિસ્તાર પાસે ઘાટીમાં બસ ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ સીધી ખાઈમાં ખાબકી હતી.
સ્થાનિકોએ શરૂ કર્યું બચાવ કાર્ય
અકસ્માત થતા જ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને બસમાંથી બહાર કાઢીને સૌપ્રથમ પુષ્કરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 5 મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અજમેરની જેએલએન (JLN) હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે.
ટ્રાફિક જામ અને તપાસ
આ અકસ્માતને કારણે પુષ્કર ઘાટી માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને વહીવટીતંત્રની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને ક્રેઈન દ્વારા બસને બહાર કાઢવાની અને વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે, જેમાં ટેકનિકલ ખામી અથવા ડ્રાઈવરની બેદરકારીના પાસાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

