સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત દ્વારા વકીલાત અને મીડિયા સંદર્ભે કરાયેલી ‘કોકરોચ’ ટિપ્પણી અંગે એક નવો વિવાદ સામે આવ્યો છે. અભિજિત દીપક અને સૌરભ દાસે દાવો કર્યો છે કે આ ટિપ્પણી સીધી રીતે સૌરભ દાસને લક્ષ્ય બનાવીને જ કરવામાં આવી હતી. સૌરભ દાસ હાલમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)નો પ્રવક્તા છે અને તે જજો, કાયદાકીય બાબતો પર લેખ લખવાની સાથે RTI એક્ટિવિસ્ટ તરીકે પણ કાર્યરત છે.
CJPના સંસ્થાપક અભિજિત દીપકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તે સમયે સૌરભ દાસ જ જજો પર સૌથી વધુ લખી રહ્યો હતો, જેથી આ શબ્દપ્રયોગ તેના માટે જ કરાયો હતો.’ આ વાતને સમર્થન આપતાં સૌરભ દાસે કહ્યું હતું કે, ‘તે ગાળામાં કેટલાક વકીલો અને નિવૃત્ત જજોએ પણ મને આ બાબતે સંકેત આપ્યો હતો. તે સમયે હું એક મેગેઝિન માટે CJI સૂર્યકાંત વિશે પ્રોફાઇલ સ્ટોરી તૈયાર કરી રહ્યો હતો અને તેના અનુસંધાને મેં કેટલીક RTI પણ દાખલ કરી હતી.’

સીજેઆઈ સૂર્યકાંતની ટિપ્પણી અને તેની સ્પષ્ટતા
અદાલતમાં એક કેસની સુનાવણી દરમિયાન સીજેઆઈ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી આ મૌખિક ટિપ્પણીને સોશિયલ મીડિયા અને મીડિયાના એક વર્ગમાં ‘દેશના બેરોજગાર યુવાનો’ પરના કટાક્ષ તરીકે દર્શાવવામાં આવી હતી. જોકે, બાદમાં સીજેઆઈ સૂર્યકાંતે આ બાબતે સ્પષ્ટતા કરતા ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, ‘મારી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. મારી ટીકા દેશના યુવાનો સામે નહોતી, પરંતુ એવા લોકો સામે હતી જેઓ નકલી અને બોગસ ડિગ્રીઓના આધારે વકીલાત જેવા ગંભીર ક્ષેત્રોમાં ઘૂસી ગયા છે અને ત્યારબાદ મીડિયા, સોશિયલ મીડિયા કે અન્ય પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં આવીને કોકરોચની જેમ સિસ્ટમ પર હુમલો કરે છે.’
સોશિયલ મીડિયા પર વાઇરલ ટિપ્પણી અને CJPની સ્થાપના
જસ્ટિસ સૂર્યકાંતની આ ટિપ્પણી વાઇરલ થયા બાદ જ ‘કોકરોચ જનતા પાર્ટી’નું ગઠન કરવામાં આવ્યું હતું. સીજેઆઈના નિવેદન પછી અભિજિત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, ‘જો તમામ કોકરોચ ભેગા થઈ જાય તો શું થાય?’ આ પોસ્ટ વાઇરલ થતાં જ તેણે X અને ઇન્સ્ટાગ્રામ પર ‘કોકરોચ જનતા પાર્ટી’ નામના હેન્ડલ શરૂ કર્યા હતા. આ એકાઉન્ટ્સ પર માત્ર ચાર જ દિવસમાં અંદાજે 2.5 કરોડ (25 મિલિયન)થી વધુ ફોલોઅર્સ જોડાઈ જતાં અભિજિત દીપકે ખૂબ ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ તે અમેરિકાથી ભારત આવ્યો અને નીટ (NEET) પેપર લીક વિરોધી આંદોલનનું નેતૃત્વ કરીને વધુ લોકપ્રિય બન્યો.

