રાજકોટ શહેરમાં કોરોનાના નવા 41 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા 39 રહેતા એક્ટિવ કેસની સંખ્યામાં નજીવો વધારો આવતા 230 થયા છે આ સાથે રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યાનો આંક 64368 પર પહોંચ્યો છે.
શહેરમાં મંગળવારે જંગલેશ્વર, ભક્તિનગર, મુંજકા, નાના મવા, મવડીના બાપાસીતારામ ચોક, સત્યમ પાર્ક, રાજદીપ સોસાયટી, શક્તિનગર, સિલ્વરવુડ, ઓસ્કાર સિટી, યુનિવર્સિટી રોડ, જલારામ સોસાયટી, સોમનાથ સોસાયટી, દેવકુંવરબા સ્કૂલ પાસે, કોઠી કમ્પાઉન્ડ, રેલનગર, સુભાષ ચંદ્ર બોઝ ટાઉનશીપ, રામનાથ પરા, સાંગણવા ચોક, આલાપ ગ્રીન, ગોવિંદનગર, એરપોર્ટ રોડ, શ્રી સદગુરુ ટાવર, શ્રીનાથજી સોસાયટી, ગાંધીગ્રામ, નાણાવટી ચોક, શિવાજી પાર્ક સહિતના વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે. મનપાની આરોગ્ય શાખાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને તેમની ટીમ દ્વારા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં છેલ્લા બે દિવસથી કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે અને સૌથી મહત્ત્વની વાત છે કે એકલ દોકલ સિવાયના કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી મળતી નથી એટલે આરોગ્ય વિભાગના તબીબો હવે લોકલ ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું હોવાનું કહી રહ્યા છે જોકે લોકલ ટ્રાન્સમિશન વખતે જે ઉછાળો આવે તેટલો હજુ દેખાયો નથી જે સાબિત કરે છે કે, લોકોમાં રોગપ્રતિકારક શક્તિ તેમજ વેક્સિનની અસરથી રોગ પ્રસરી રહ્યો નથી. હાલ જે કેસ આવ્યા છે તે તમામ છૂટાછવાયા છે અને ખાસ કરીને જ્યાં સૌથી વધુ કેસ આવે છે તે વોર્ડ નં. 11નો ફક્ત એક જ કેસ આવ્યો છે જ્યારે વોર્ડ નં. 1ના અલગ અલગ 9 કેસ જ્યારે વોર્ડ નં. 8માં 8 કેસ આવ્યા છે.