હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની સરહદ નજીક બે કોમર્શિયલ જહાજ પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટ મુજબ આ હુમલામાં કોઈ પણ ક્રૂ મેમ્બરને ઈજા થયાના સમાચાર નથી. રાહતની વાત એ છે કે જહાજોમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી. જો કે, આ પૈકી એક જહાજ ભારતનું છે, જે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવતું હતું.

ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર ઈરાને કબજો કર્યો!
રોયટર્સના હવાલાથી મળતી માહિતી અનુસાર, હોર્મુઝની ખાડીમાં ઈરાનના IRGC દ્વારા બે જહાજો પર ફાયરિંગ કરાયું હતું. જેમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજ સાથે સહિત એક પનામા અને એક લાઇબેરિયાનું જહાજ હતું. ઈરાનના સરકારી ટીવીના અનુસાર, બે જહાજોને કબજે કરીને ઈરાન લઈ જવાઈ રહ્યા છે. ભારતીય જહાજ એપામિનોંડાસ દુબઈથી ગુજરાતના મુંદ્રા આવી રહ્યું હતું. સૂત્રોના અહેવાલ અનુસાર, ઈરાને કબજે કરેલા જહાજમાં ભારતીય જહાજ પણ સામેલ છે.
સુરક્ષા સંબંધી ચિંતાઓમાં વધારો
એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની ખૂબ નજીક આવી ગઈ હતી. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગ પર સુરક્ષા સંબંધી ચિંતાઓને ફરી વધારી દીધી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મધ્ય પૂર્વમાં પહેલેથી જ અસ્થિરતા પ્રવર્તી રહી છે.
IRGCની એક ગનબોટ તેમના જહાજની નજીક આવી
રોયટર્સના જણાવ્યા અનુસાર, ઓમાનના ઉત્તર-પૂર્વમાં ગોળીબાર અને રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ(RPG)થી હુમલો થયા બાદ, લાઇબેરિયાના ધ્વજ ધરાવતા એક કન્ટેનર જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. UKMTOએ જણાવ્યું કે જહાજના કૅપ્ટને માહિતી આપી છે કે IRGCની એક ગનબોટ તેમના જહાજની નજીક આવી રહી હતી. UKMTO મુજબ, ત્યારબાદ જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
કોઈ રેડિયો સંપર્ક થયો ન હતો
જહાજના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને આ ઘટનાને કારણે જહાજમાં આગ લાગવાની કે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચવાની કોઈ ઘટના બની નથી. દરિયાઈ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે તે ગનબોટ પર ત્રણ લોકો સવાર હતા. ગ્રીક સંચાલિત કન્ટેનર જહાજના કૅપ્ટને એમ પણ જણાવ્યું હતું કે ઘટના પહેલા કોઈ રેડિયો સંપર્ક થયો ન હતો અને જહાજને શરૂઆતમાં એવી જાણકારી આપવામાં આવી હતી કે તેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી છે.

