કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા વધુમાં વધુ લોકોને રસી મુકાવી લેવાની સરકારની હિમાયત વચ્ચે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રસીકરણની કામગીરી સાવ ખાડે ગઈ હોવાની બુમ ઉઠી છે. રસીકરણ માટે તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું જ પડે છે, પરંતુ તેના પહેલા ટોકન લેવા માટે પણ સવારે પાંચ વાગ્યાથી કેન્દ્રો બહાર લાઈનો લાગી જાય છે. બીજી તરફ ઓનલાઈન બુકિંગમાં પણ અખાડા શરૃ થતા લોકો રસીકરણમાં ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
અમદાવાદ શહેરમાં ૪૦-૪પ હજાર લોકોને એક દિવસમાં કોરોનાની રસી મુકાઈ હોવાના દાવા મ્યુનિ. તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે. બીજી તરફ દિવસેને દિવસે રસીકરણ માટે લોકોની હાડમારીમાં વધારો થઈ રહ્યો છે. પૂર્વ વિસ્તારના નિકોલથી માંડી નરોડા, વસ્ત્રાલ, રામોલ, નારોલ, ઈસનપુર, ઘોડાસર સુધીના છેવાડાના તથા અસારવા, મણિનગર, અમરાઈવાડી, જમાલપુર, ખાડિયા સહિતના શહેરના આંતરિક વિસ્તારોમાં રસીકરણ કેન્દ્રો બહાર હેરાન થતા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
રસી માટે ઠીક હવે તો ટોકન લેવા પણ લાઈનો લાગે છે. રસીકરણની ખાડે ગયેલી વ્યવસ્થા વચ્ચે ઘણી બાબતોમાં લોકો મુંજવણ અનુભવી રહ્યા છે. જેમાં સૌપ્રથમ બાબત કોવેક્સીનના બીજા ડોઝને લઈને ઉદ્દભવી છે. કોવેક્સીનના બીજા ડોઝ લોકોને મળી રહ્યા નથી. આ સ્થિતિ વચ્ચે બે ડોઝ વચ્ચેના સમયગાળાની મર્યાદા જતી રહે તો વાંક કોનો? લોકોએ આ સ્થિતિમાં શું કરવું? તેના જવાબો મ્યુનિ. કે આરોગ્ય વિભાગના સ્ટાફ પાસે હોતા નથી.
આ ઉપરાંત રસીકરણ કેન્દ્રો બહાર બે-ત્રણ કલાક સુધી લોકોને લાઈનમાં બેસાડી રાખ્યા બાદ તેનો વારો બીજા દિવસે આવશે અથવા તો બીજા કેન્દ્ર પર જતા રહેવાની સૂચના અપાય છે! આવી સૂચના અગાઉથી શા માટે આપવામાં આવતી નથી? લોકોના સમય અને શક્તિની બરબાદી શા માટે કરાય છે? મોટી ઉમરના વૃદ્ધો અને નિરક્ષર લોકોને પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સમજણ આપવામાં આવતી નથી. અનેક એવા લોકો છે જેણે રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હોવાના પુરાવા સાચવી શક્યા નથી. આવા લોકોનું શું કરવું? તેને લઈને ખુદ આરોગ્ય સ્ટાફ પણ મુંજવણ અનુભવી રહ્યો છે.
એકંદરે આખી રસીકરણ વ્યવસ્થા ઉચ્ચ અધિકારીઓની અણઆવડતના કારણે ખાડે જતા મ્યુનિ.નો આરોગ્ય સ્ટાફ પણ લોકો સાથે રોજના ઘર્ષણને લઈને મુશ્કેલી અનુભવી રહ્યો છે.