બિહારના રાજકીય ઈતિહાસમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે, જ્યાં નીતિશ કુમારની વિદાય સાથે જ હવે સમ્રાટ ચૌધરીના શાસનનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. ભાજપના આ કદાવર નેતાને કઈ રણનીતિ હેઠળ મુખ્યમંત્રીની ગાદી સોંપવામાં આવી અને નીતિશ કુમારે પોતે કેમ તેમનું નામ આગળ કર્યું, તે રહસ્ય વધુ ઘેરું બન્યું છે. આવતીકાલે સવારે યોજાનારી શપથવિધિ બિહારના ભવિષ્યમાં કેવો મોટો ફેરફાર લાવશે તે આ અહેવાલમાં છે.
બિહારના (Bihar) રાજકારણમાંથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નીતિશ કુમારે (Nitish Kumar) મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપના દિગ્ગજ નેતા સમ્રાટ ચૌધરી (Samrat Choudhary) રાજ્યના નવા મુખ્યમંત્રી (Chief Minister) બનવા જઈ રહ્યા છે. રવિવારે તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે રાજભવન (Raj Bhavan) પહોંચીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

નીતિશ કુમારના રાજીનામા બાદ તુરંત જ ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે સમ્રાટ ચૌધરીને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. નોંધનીય છે કે હાલમાં તેઓ બિહારના નાયબ મુખ્યમંત્રી (Deputy CM) તરીકે સેવા આપી રહ્યા છે. આવતીકાલે સવારે અંદાજે 11 વાગ્યે તેઓ મુખ્યમંત્રી પદના શપથ (Oath Ceremony) લેશે.
વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદગી પામ્યા બાદ સમ્રાટ ચૌધરીએ પક્ષના કેન્દ્રીય નેતૃત્વનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આ મારા માટે માત્ર એક પદ નથી, પરંતુ બિહારની જનતાની સેવા કરવાનો પવિત્ર અવસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વ હેઠળ હું બિહારને સુશાસન અને સમૃદ્ધિ તરફ લઈ જવા માટે કટિબદ્ધ છું.”
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને (Shahnawaz Hussain) આ ફેરફારને આવકારતા તેને ‘શુભ યુગ’ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે નીતિશ કુમારે પોતે સમ્રાટ ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને એનડીએના (NDA) તમામ સાથી પક્ષોએ સમર્થન આપ્યું હતું. સમ્રાટ ચૌધરી યુવાન નેતા હોવાથી બિહારના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
