એમએસકે પ્રસાદનો કાર્યકાળ પૂરો થઇ ચૂક્યો છે અને તેના સ્થાને ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ જોશી ભારતની મેન્સ ટીમનો મુખ્ય પસંદગીકાર બની ચૂક્યા છે. પ્રસાદે જણાવ્યું હતું કે અમારી પસંદગી સમિતિ સામે સિનિયર સ્પિનર આર. અશ્વિન તથા રવીન્દ્ર જાડેજાને વ્હાઇટબોલ ક્રિકેટમાંથી પડતા મૂકવાનો તથા ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીનો વિકલ્પ શોધવાનું સૌથી મુશ્કેલ કામ હતું. અશ્વિન તથા જાડેજાને વન-ડે ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય સૌથી કપરો રહેતો હતો. બંને મેચવિનર બોલર છે અને તેમણે ઘણી મેચો ભારતને જીતાડી આપી છે. આ ઉપરાંત ધોનીનું રિપ્લેસમેન્ટ કરવું તે સહેજ પણ આસાન નહોતું.
ઇંગ્લેન્ડ ખાતે ગયા વર્ષે રમાયેલા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ચોથા ક્રમે યોગ્ય બેટ્સમેન નહીં હોવાના કારણે પરાજય થયો હતો તે બાબતનો ઇનકાર કરીને પ્રસાદે જણાવ્યું હતું કે સેમિફાઇનલ સુધી આપણે પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે હતા. માત્ર એક ખરાબ સેશનના કારણે પરાજય થયો હતો. ચોથા ક્રમના બેટ્સમેનના કારણે આપણે વર્લ્ડ કપ ગુમાવ્યો હોય તેમ મને લાગતું નથી. ધોની પોતાના ભવિષ્ય અંગે સ્પષ્ટ હતો અને તેણે પોતાના ભાવિ પ્લાનિંગ અંગે ટીમ મેનેજમેન્ટને પણ જાણ કરી હતી. અમારો લક્ષ્યાંક ટીમ માટે યુવા ટેલેન્ટને શોધીને તેમને તૈયાર કરવાનો હતો. અમે આ બાબતમાં સફળ પણ રહ્યા છીએ.
રોહિત શર્માને એક ફોર્મેટમાં કેપ્ટનશિપ સોંપવાના સંદર્ભમાં પ્રસાદે જણાવ્યું હતું કે કોહલી છેલ્લા કેટલાક વર્ષથી ટીમનું શાનદાર નેતૃત્વ કરી રહ્યો છે. તેણે પ્રત્યેક ફોર્મેટમાં પોતાના વિજયનો રેશિયો ઉંચો રાખ્યો છે. સુકાની તરીકે રોહિતનો રેકોર્ડ પણ શાનદાર છે અને જ્યારે પણ તક મળી ત્યારે તેણે પોતાને સાબિત પણ કર્યો છે. કોહલીના ફોર્મને તેની કેપ્ટનશિપ સાથે કોઇ લેવાદેવા હોય તેવું હું માનતો નથી. માત્ર એક જ શ્રેણીમાં મળેલા પરાજયના કારણે તેની સામે પ્રશ્નાર્થ કરી શકતા નથી. રોહિત સારો સુકાની છે પરંતુ કોહલી અત્યારે ત્રણેય ફોર્મેટમાં સારું નેતૃત્વ કરી રહ્યો છે.